'...તો ભાજપના ધારાસભ્ય બનવાનો કોઈ મતલબ નથી', અચાનક મણિપુરમાં નેતા કેમ ભડક્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Manipur MLA T. Shyam Kumar: મણિપુરના ભાજપના ધારાસભ્ય ટી. શ્યામકુમારે રવિવારે સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ તેમને મળવાનો સમય નહીં આપે, તો તેઓ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપવા વિશે વિચારવા મજબૂર થશે.
બીજી તરફ, રવિવારે મણિપુરના ઓછામાં ઓછા નવ ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા હતા. આ ધારાસભ્યોમાં વિધાનસભા અધ્યક્ષ સત્યબ્રત તેમજ ધારાસભ્યો કે. જોયકિશન, બસંત કુમાર, કરમ શ્યામ, યુમનામ ખેમચંદ, ઉશમ દેબેન, ખ ઇબોમ્ચા અને નૂરુલ હસનનો સમાવેશ થાય છે. તેઓ બધા અલગ-અલગ ફ્લાઇટ્સ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા.
શ્યામકુમારની કેન્દ્રીય નેતૃત્વને ધમકી: સમય નહીં આપો તો રાજીનામું
નવી દિલ્હી જવા રવાના થતા પહેલા ઇમ્ફાલ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં, એન્ડ્રો વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શ્યામકુમારે કહ્યું હતું કે, 'જો પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ અમને મળવાનો સમય નહીં આપે, તો ભાજપના ધારાસભ્ય બની રહેવાનો કોઈ અર્થ નથી અને અમારે રાજીનામું આપવું પડશે.'
શ્યામકુમારે વધુમાં કહ્યું કે, 'જો કેન્દ્રીય નેતાઓ મણિપુરમાં લોકપ્રિય સરકાર બનાવવાની વાત પર સહમત નહીં થાય, તો અમારે અન્ય વિકલ્પો પર વિચાર કરવો પડશે.'
ધારાસભ્યો દિલ્હીમાં રજૂ કરશે લોકોની આકાંક્ષાઓ
ભાજપના ધારાસભ્ય ખ ઇબોમ્ચાએ કહ્યું કે, 'ભાજપના તમામ 30 ધારાસભ્યો દિલ્હી જઈ રહ્યા છે અને દરેક મુદ્દા પર ચર્ચા કરશે.'
જયારે આ અંગે એનપીપીના ધારાસભ્ય શેખ નૂરુલ હસને કહ્યું હતું કે, 'શાંતિ પુનઃસ્થાપિત થઈ ગઈ છે અને લોકોની આકાંક્ષાઓ સરકારના ગઠનની છે. અમને આશા છે કે ટૂંક સમયમાં નવા નેતાના નેતૃત્વમાં નવી સરકારની રચના થઈ જશે.'
ભાજપનું એક પ્રતિનિધિમંડળ પહેલેથી જ રાજધાનીમાં
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિંહના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ પહેલેથી જ રાષ્ટ્રીય રાજધાનીમાં હાજર છે. આ ટીમમાં એચ ડિંગો, ટી રોબિન્દ્ર, એસ રંજન, ગોવિંદદાસ કોન્થૌજમ અને પર્વતીય વિસ્તાર સમિતિના અધ્યક્ષ ડિંગાંગલુંગ ગંગમેઈ સામેલ છે.
સિંહે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ રાજ્યમાં લોકપ્રિય સરકારના ગઠન માટે કેન્દ્રીય નેતાઓ પર દબાણ લાવશે અને સાથે જ આંતરિક રીતે વિસ્થાપિત લોકો (IDP) અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવશે.









