ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો
Indian Meteorological Department: ભારતીય હવામાન વિભાગ(IMD)એ જાહેરાત કરી છે કે, દક્ષિણ- પશ્ચિમ મોનસૂન 2025 તેના નિર્ધારિત સમય પહેલા એટલે કે, 24 મેના રોજ કેરળમાં પહોંચી ગયું છે. સામાન્ય રીતે કેરલમાં 1 જૂન આસપાસ દસ્તક આપતું હોય છે, પરંતુ આ વખતે સાત દિવસ વહેલા છે. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં મોનસૂન 13 મેના પ્રવશે કરી ચૂક્યું હતું અને હવે તે ઝડપથી અન્ય ભાગોમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસુ સામાન્યથી વધુ વરસાદ લાવી શકે છે. જે લાંબા ગાળાના સરેરાશ (87 સે.મી.) ના 105% હોવાનો અંદાજ છે. આ સમાચાર ખેડૂતો, અર્થતંત્ર અને ગરમીથી રાહતની આશા કરતાં લોકો માટે સકારાત્મક સંકેતો આપી રહ્યા છે.
આ પણ વાંચો: પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ
ખેડૂતો પર અસર: ફાયદો કે નુકસાન?
ચોમાસાનું વહેલું આગમન અને સામાન્યથી વધુ વરસાદની આગાહી ખેડૂતો માટે મોટે ભાગે હકારાત્મક છે, પરંતુ કેટલાક પડકારો પણ છે
ફાયદા:
સમયસર વાવણી:
વહેલા ચોમાસાનો અર્થ એ છે કે ખેડૂતો ખરીફ પાક (જેમ કે ડાંગર, મકાઈ, બાજરી, કપાસ અને કઠોળ) વહેલા વાવણી શરૂ કરી શકે છે. આનાથી પાકને ઉગાડવા માટે પૂરતો સમય મળી રહે અને ઉપજમાં વધારો થઈ શકે છે.
પાણીની ઉપલબ્ધતા:
સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહીથી જળાશયો અને નદીઓ ભરવામાં મદદ મળશે, જેના કારણે સિંચાઈ માટે પાણીની કોઈ અછત નહીં રહે. આ ખાસ કરીને એવા વિસ્તારોમાં ફાયદાકારક છે, જ્યાં સિંચાઈ સુવિધાઓ મર્યાદિત છે.
સારા ઉત્પાદનની અપેક્ષા:
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા કૃષિપ્રધાન રાજ્યોમાં સમયસર અને પૂરતો વરસાદ પાક ઉત્પાદકતામાં વધારો કરી શકે છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે.
નુકસાન:
પૂરનું જોખમ:
ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પૂર આવવાની શક્યતા છે, જેનાથી પાકને નુકસાન થવાનો ભય રહે છે. ખાસ કરીને બિહાર અને આસામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં, પૂર પાકને નુકસાન અને જમીનનું ધોવાણ કરી શકે છે.
અનિયમિત વરસાદનું જોખમ:
વહેલા ચોમાસાનો અર્થ એ નથી કે, દેશભરમાં વરસાદ એકસરખો રહેશે. કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ અથવા અનિયમિત વરસાદ પાકને અસર કરી શકે છે.
ડુંગળી જેવા પાક પર અસર:
મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં તાજેતરના ઘટાડાનું એક કારણ કમોસમી વરસાદ હતો, જેના કારણે પાકને નુકસાન થયું હતું. ચોમાસા વહેલા આવવાને કારણે પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.