...તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ અંગે સસ્પેન્સ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-Bangladesh Relations: બાંગ્લાદેશે 17મી ફેબ્રુઆરીએ તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હોવાના અહેવાલ છે. ઢાકાએ આ કાર્યક્રમ માટે 13 દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું છે, અને ભારતને પણ જાણ કરવામાં આવી છે. જોકે, પ્રધાનમંત્રી મોદીની ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય મુલાકાત તે જ દિવસે મુંબઈમાં થવાની છે. તેથી, સંકેતો મળી રહ્યા છે કે વડાપ્રધાન ઢાકા જશે નહીં અને ભારત સરકારના વરિષ્ઠ પ્રતિનિધિ સમારોહમાં હાજરી આપી શકે છે.
મુંબઈમાં મોદી-મેક્રોન મુલાકાતને પ્રાથમિકતા?
અહેવાલો અનુસાર, 17મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે મુંબઈમાં દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. આ બેઠકમાં સંરક્ષણ, ટેકનોલોજી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા થનાર છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત આ મહત્વપૂર્ણ રાજદ્વારી બેઠકને પ્રાથમિકતા આપી શકે છે, જેના કારણે PM મોદી ઢાકા જવાને બદલે કોઈ વરિષ્ઠ પ્રતિનિધિને બાંગ્લાદેશ મોકલે તેવી શક્યતા છે.
બાંગ્લાદેશનું 13 દેશોને આમંત્રણ
વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારત સહિત 13 દેશોને આમંત્રણ આપ્યું છે. આમાં ચીન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, તૂર્કીયે, યુએઈ, કતાર, મલેશિયા, બ્રુનેઈ, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂટાનનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. જોકે, ભારતે હજુ સુધી આમંત્રણ મળ્યાની સત્તાવાર પુષ્ટિ કરી નથી, અને વડાપ્રધાન મોદી ઢાકામાં શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે કે નહીં તે અંગે નિર્ણય હજુ સુધી લેવાયો નથી. બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને ફરીથી મજબૂત બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
PM મોદીએ તારિક રહેમાન સાથે ફોન પર કરી વાત
BNPના ચૂંટણીમાં વિજય બાદ વડાપ્રધાન મોદીએ તારિક રહેમાનને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, 'ભારત પડોશી દેશની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે.'
રાજદ્વારી સંદેશ
નિષ્ણાતોના મતે, જો PM મોદી ઢાકા જવાને બદલે મુંબઈમાં મેક્રોન સાથેની બેઠક પસંદ કરે છે, તો તે ભારતની 'બહુસ્તરીય રાજદ્વારીતા'નો સંકેત હશે. આનાથી સ્પષ્ટ થશે કે ભારત તેની યુરોપ નીતિ અને ફ્રાન્સ સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને અત્યંત મહત્વ આપી રહ્યું છે, જ્યારે પડોશી દેશ સાથેના સંબંધો પ્રતિનિધિ સ્તરે જાળવી રાખશે.








