'આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું...' શશી થરૂરે કોલંબિયાને રોકડું પરખાવી દીધું
Shashi Tharoor in Colombia: કોંગ્રેસ સાંસદ શશી થરૂર હાલ કોલંબિયાની રાજધાની બોગોટામાં છે. તેઓ આતંકવાદના વિરોધમાં ભારતના સફળ 'ઓપરેશન સિંદૂર'ની જાણકારી આપવા માટે બનાવેલા એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે છે. તેમણે બોટોગામાં પાકિસ્તાનના આતંકના ચહેરાને ઉજાગર કરતા કહ્યું કે, 'અમને બરાબર ખબર છે કે, પાકિસ્તાનમાં 81 ટકા ડિફેન્સ સાધનો ચીનથી આવે છે. ડિફેન્સ એક ખૂબ જ ઉદાર શબ્દ છે. પરંતુ, હકીકતમાં આ પાકિસ્તાનના સંરક્ષણ અને સૈન્ય ઉપકરણ નથી. તેમાંથી મોટાભાગનો ઉપયોગ તે સંરક્ષણ માટે નહીં પરંતુ, હુમલા માટે કરે છે. પાકિસ્તાનમાં ચીનનો સૌથી મોટો પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ ઇનિશિએટિવ છે, જે ચીનને દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના બંદર સાથે જોડે છે. અહીંથી સામાનને ખૂબ જ ઝડપથી અને સસ્તી રીતે ચીન સુધી પહોંચાડવામાં આવી શકે છે, જેની અમને જાણકારી છે. અમારી લડાઈ હંમેશાથી ફક્ત આંતક વધારનારા સામે છે.'
કોલંબિયાની પ્રતિક્રિયાથી ભારત નિરાશ
થરૂરે કહ્યું કે, 'અમે કોલંબિયા સરકારની પ્રતિક્રિયાથી થોડા નિરાશ છીએ. મને લાગે છે કે, કદાચ સ્થિતને સંપૂર્ણ રીતે સમજવામાં નથી આવી, જ્યારે કોલંબિયાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર ભારતના હુમલામાં મોતને ભેટેલા લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. અમે અહીં ફક્ત પરિસ્થિતિને સમજાવવા માટે આવ્યા છીએ, જે અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારત એવો દેશ છે જે હકીકતમાં વિશ્વમાં રચનાત્મક પ્રગતિની શક્તિ રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે, દુનિયાભરની સરકાર આતંકવાદીઓને સુરક્ષિત ઠેકાણા પૂરા પાડનારી અને તેમને સંરક્ષણ આપનારી સરકારને આ બંધ કરવા જણાવશે.'
અમારી પાસે નક્કર પુરાવા છેઃ થરૂર
પહલગામ હુમલા વિશે વાત કરતા થરૂરે કહ્યું કે, 'હું પહેલા જ કહી ચુક્યો છું કે, અમારી પાસે પુખ્તા પુરાવા છે. જ્યારે પહલગામમાં આતંકી હુમલો થયો, તો તેની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના એક આતંકી સંગઠને લીધી હતી. આ સંગઠન પાકિસ્તાનના મુરિદકેમાં લશ્કર-એ-તૈયબાનું જ એક એકમ છે. અમે કોલંબિયામાં અમારા મિત્રોને કહીશું કે, આતંકવાદીઓને મોકલનાર અને તેમના વિરોધ કરનાર વચ્ચે સમાનતા ન હોય શકે. આ પ્રકારનો હુમલો કરનાર અને અને તેનાથી પોતાની સુરક્ષા કરનારને એક ત્રાજવે તોલી ન શકાય. અમે ફક્ત આત્મરક્ષાના પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તેના પર કોઈ ગેરસમજ છે તો અમે તેને દૂર કરવા તૈયાર છીએ. અમે કોલંબિયા સરકાર પાસે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતની સૈન્ય કાર્યવાહીની વિસ્તૃત જાણકારી આપતા રાજીપો અનુભવીશું.'
જણાવી દઈએ કે, શશી થરૂરની આગેવાનીમાં ભારતનું એક પ્રતિનિધિમંડળ ગુયાના, પનામા, કોલંબિયા, અમેરિકા અને બ્રાઝિલ આ પાંચ દેશોની યાત્રા કરી રહ્યું છે.