Get The App

'પીએમ મોદીનું લોહી કેમેરા સામે જ કેમ ઉકળે છે...', રાહુલ ગાંધીના વડાપ્રધાન સામે આકરાં પ્રહાર

Updated: May 23rd, 2025

GS TEAM

Google News
Google News
Rahul Gandhi on PM Modi

Rahul Gandhi on PM Modi: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક ભાગ X પર શેર કરીને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. 23 સેકન્ડના આ વીડિયોમાં, વડાપ્રધાન મોદી કહે છે કે, 'જ્યારે પાકિસ્તાને કહ્યું કે તે હવે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સૈન્ય કાર્યવાહી નહીં કરે, ત્યારે ભારતે પણ તેના પર વિચાર કર્યો.' આ મુદ્દે રાહુલ ગાંધીએ સવાલ ઊઠાવતાં લખ્યું કે, 'મોદીજી, પોકળ ભાષણો આપવાનું બંધ કરો.' રાહુલે પીએમના ભાષણમાં એક વાક્ય પર કટાક્ષ કર્યો, જેમાં વડાપ્રધાને 'લોહી ઉકળવા' અંગે વાત કરી હતી.

રાહુલ ગાંધીના વડાપ્રધાન પર આકરા પ્રહાર 

રાહુલ ગાંધીએ આ ત્રણ પ્રશ્ન પૂછ્યા કે, 'મોદીજી, મને ફક્ત એટલું કહો કે...

1. તમે આતંકવાદ પર પાકિસ્તાનના નિવેદન પર કેમ વિશ્વાસ કર્યો?' 

2. ટ્રમ્પ સામે ઝૂકીને તમે ભારતના હિતોનું બલિદાન કેમ આપ્યું? 

3. તમારું લોહી ફક્ત કેમેરા સામે જ કેમ ઉકળે છે? તમે ભારતના સન્માન સાથે ચેડા કર્યા છે! 

બિકાનેરમાં વડાપ્રધાનના ભાષણ પછી રાહુલ ગાંધીની પોસ્ટ

હકીકતમાં યુદ્ધવિરામ થયા બાદથી કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી સરકાર સામે સતત પ્રહારો કરી રહ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનને ફરીથી ચેતવણી આપી હતી. 

પીએમ મોદીએ મંચ પરથી કહ્યું કે, 'પાકિસ્તાને દરેક આતંકવાદી હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે અને આ કિંમત પાકિસ્તાનની સેના અને પાકિસ્તાની અર્થતંત્ર દ્વારા ચૂકવવામાં આવશે.' પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, 'પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે હવે ભારત માતાનો સેવક મોદી અહીં માથું ઊંચું કરીને ઊભો છે. મોદીનું મગજ ઠંડુ રહે છે, પણ તેમનું લોહી ઉકળતું રહે છે. હવે મોદીની નસોમાં લોહી નથી, પણ ગરમ સિંદૂર વહે છે.'

આ પણ વાંચો: વક્ફ કાયદાની સુનાવણીમાં આધ્યાત્મિક દલીલો બાદ સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો

ભારતનું સન્માન ખરડાયું છે: રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ X પર તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રને સંબોધનના એક અંશની વીડિયો ક્લિપ પણ શેર કરી છે, જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે, 'ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સના સ્તરે વાતચીત દરમિયાન, પાકિસ્તાને ખાતરી આપી હતી કે તેના તરફથી વધુ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ અને લશ્કરી હુમલા નહીં થાય, ત્યારબાદ ભારતે પણ આ મુદ્દા પર વિચાર કર્યો. 'ઓપરેશન સિંદૂર' રોકવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો ઉલ્લેખ કરીને, રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તેમણે ભારતના સન્માન સાથે સમાધાન કર્યું છે.'

'પીએમ મોદીનું લોહી કેમેરા સામે જ કેમ ઉકળે છે...', રાહુલ ગાંધીના વડાપ્રધાન સામે આકરાં પ્રહાર 2 - image