તબીલીગી જમાતના નેતા મૌલાના સાદ સામે ફરિયાદ, જાણો કોણ છે આ આગેવાન
Updated: Apr 1st, 2020
નવી દિલ્હી, તા.1. એપ્રિલ 2020, બુધવાર
કોરોનાના સંકટ વચ્ચે પણ દેશ વિદેશના હજારો મુસ્લિમોનો કાર્યક્રમ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં યોજનાર તબલીગી જમાતના આગેવાન મૌલાના અમીર સાદ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
રાતોરાત ચર્ચામાં આવી ગયેલા મૌલાના સાદ કોણ છે તે અંગે મીડિયા રિપોર્ટોમાં બહાર આવેલી જાણકારી પ્રમાણે તેમનો જન્મ 1965માં દિલ્હીમાં 10 મેના રોજ થયો હતો.તેમણે 1987માં નઝામુદ્દીન વિસ્તારની મદરેસામાંથી આલિમની ડિગ્રી લીધી હતી.
તેમણે પોતે જ જ્યારે પોતાની જાતને જમાતના સર્વોચ્ચ નેતા તરીકે ઘોષિત કરી દીધા હતા ત્યારે બીજા ધર્મગુરુઓ તેનો વિરોધ પણ કર્યો હતો.જોકે તેની અસર મૌલાના સાદ પર પડી નહોતી.તેમણે પોતાનો રસ્તો લઅલગ કરી લીધો હતો.તેમણે તે વખતે ઓડિયો ક્લિપ થકી કહ્યુ હતુ કે, હું જ બધાનો અમીર( સર્વોચ્ચા નેતા) છું.તમે વાત ના માનો તો ભાંડમાં જાઓ ...
મૌલાના સાદનો વિરોધ એ પછી પણ ચાલુ રહ્યો હતો.2017માં દેવબંદે તબલીગી જમાત સાથે જોડાયેલા મુસ્લિમો માટે ફતવો બહાર પાડીને કહ્યુ હતુ કે, સાદ કુરાન અને સુન્નતની ખોટી વ્યાખ્યા કરે છે.આ ફતવો મૌલાના સાદે ભોપાલમાં આપેલા એક વિવાદીત નિવેદન બાદ બહાર પાડવામાં આવ્યો હતો.
2016ના જુન મહિનામાં મૌલાના સાદ અને જમાતના અન્ય જુથના નેતા મૌલાના મહોમ્મદ હસનની આગેવાની હેઠળના બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ પણ થઈ હતી.જેમાં ઘાતક હથિયારોનો છુટથી ઉપયોગ થયો હતો.15 લોકો ઘાયલ થયા હતા.એ પછી પોલીસે દરમિયાનગીરી કરતા બંને જુથો વચ્ચે શાંતિ સ્થપાઈ હતી.
આમ છતા આ અથડામણ બાદ જમાતના કેટલાક વરિષ્ઠ સભ્યો ગભરાઈને ભોપાલ જતા રહ્યા હતા.આમ હવે આ જમાતનુ એક મહત્વનુ જુથ ભોપાલ ખાતે પણ કેન્દ્રિત થયુ છે.