Get The App

દેવી ગુંડિચા કોણ છે જેમને ભગવાનની માસી કહેવાય છે... તેમના ધામ સુધી રથ પર પહોંચે છે જગન્નાથ સ્વામી

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
દેવી ગુંડિચા કોણ છે જેમને ભગવાનની માસી કહેવાય છે... તેમના ધામ સુધી રથ પર પહોંચે છે જગન્નાથ સ્વામી 1 - image


Jagannath Puri Rathyatra 2025: પુરીમાં શુક્રવારથી જગન્નાથ રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. 27 જૂનના રોજ અષાઢ બીજની શુભ તિથિમાં શ્રીમંદિરમાં બિરાજમાન ભગવાનની મૂર્તિઓને તેમના મોટા ભાઈ અને બહેન સાથે સિંહદ્વાર પર લાવવામાં આવી અને પછી અહીંથી તેમને પોત-પોતાના રથ પર બિરાજવામાં આવી. શ્રીમંદિરમાં મૂર્તિઓને બહાર કાઢીને રથમાં લઈ જવાની પ્રક્રિયાને પહાડી કહેવામાં આવે છે, જેમાં ભગવાનને પ્રેમ અને ભક્તિથી ખભા પર ઝૂલાવતા બહાર લાવવામાં આવે છે. 

દેવી ગુંડિચા જેમને ભગવાનની માસી કહેવાય છે

દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રાની શોભાયાત્રામાં સામેલ થવા માટે પુરીમાં એકઠા થયા અને આ યાત્રાના સાક્ષી બન્યા. રથયાત્રા દરમિયાન દેવતાઓની મૂર્તિઓને રથ પર બિરાજવામાં આવે અને પથી તેમના રથોને હાથથી ખેંચીને શ્રી ગુંડિચા મંદિરમાં લઈ જવામાં આવે છે. આ મંદિર પુરી જગન્નાથ મંદિરથી લગભગ 2.6 કિમી દૂર છે. ગુંડિચા મંદિરને મહાપ્રભુ જગન્નાથ, તેમના ભાઈ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રાની માસીનું ઘર માનવામાં આવે છે.

કેવી રીતે ભગવાનની માસી બની દેવી ગુંડિચા

દેવી ગુંડિચાને મહાપ્રભુ ત્રિદેવોના માસી કહેવામાં આવે છે, પરંતુ તે ત્રિદેવોના માસી કેવી રીતે બન્યા અને ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને જગન્નાથજી સાથે તેમનો શું સંબંધ છે? આ એક મોટો સવાલ છે.

વાસ્તવમાં જ્યારે ઉત્કલ (આજના ઓડિશા) પ્રદેશના રાજા ઈન્દ્રદ્યુમ્ન અને તેમની પત્ની રાણી ગુંડિચાએ ભગવાન નીલમાધવ માટે મંદિર બનાવ્યું, ત્યારે સવાલ ઊભો થયો કે મંદિર અને મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે કરવી? પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ બાદ જ મંદિરમાં પૂજા થઈ શકે છે. સવાલ એ ઊભો થયો કે આ કાર્ય માટે યોગ્ય બ્રાહ્મણ કોણ હશે, અને તે અંગે વિચાર-વિમર્થ શરૂ થયો.

બીજી તરફ જ્યારે દેવર્ષિ નારદ ઉત્કલ પહોંચ્યા, ત્યારે રાજાએ તેમને પ્રાણ પ્રતિષ્ઠાના પુરોહિત બનવા વિનંતી કરી, પરંતુ દેવર્ષિ નારદે કહ્યું કે, આ દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બ્રહ્માજીએ જ કરવી જોઈએ. તેથી તમે મારી સાથે આવો અને તેમને આમંત્રણ આપો, તેઓ ચોક્કસ આવશે. રાજાએ આ વાત સ્વીકારી અને બ્રહ્માજીને આમંત્રણ આપવા માટે દેવર્ષિને સાથે ચાલવા માટે કહ્યું. ત્યારે નારદ મુનિએ કહ્યું કે, રાજન શું તમે યોગ્ય રીતે વિચાર્યું છે કે તમે આવવા માગો છો? રાજાએ કહ્યું આમાં વિચારવાનું શું છે? હવે મંદિરની સ્થાપનાનો આ છેલ્લો તબક્કો છે, પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે, પછી હું સંન્યાસ ધારણ કરી લઈશ.

બ્રહ્મદેવને પુરોહિત બનાવવા માટે બ્રહ્મલોક ગયા રાજા ઈન્દ્રદ્યુમ્ન

ત્યારે દેવર્ષિ નારદે કહ્યું કે, તમે પહેલા વિચાર કરી લો અને બ્રહ્મલોક આવવા પહેલા તમારા પરિવારને છેલ્લી વાર મળી તો લો. છેલ્લી વાર... આ શબ્દ સાંભળીને રાણી ગુંડિચા અસ્વસ્થ થઈ ગઈ. રાજા પણ કંઈ સમજી ન શક્યા. રાજપરિવાર ચિંતિત થઈ ગયો. પછી દેવર્ષિ નારદે કહ્યું, તમે એક મનુષ્ય છો. બ્રહ્મલોક જવા અને ત્યાંથી પાછા ફરવા વચ્ચે પૃથ્વી પર ઘણો સમય બદલાઈ ગયો હશે. ઘણી સદીઓ લાગી જશે. જ્યારે તમે પાછા ફરશો ત્યારે ન તો તમારો રાજપરિવાર રહેશે કે ન તો આ રાજ્ય. તમારા સગાસંબંધીઓ પણ જીવિત નહીં રહેશે. પુરી નીલાંચલ પ્રદેશમાં કોઈ બીજા રાજાનું શાસન રહેશે. જ્યારે તમે બ્રહ્મદેવને લઈને પરત ફરશો, ત્યારે તમે ભાગ્યે જ આ પ્રદેશને ઓળખી શકશો.

હવે રાજા માટે એક નવી મુશ્કેલી સામે હતી. તેમને મૃત્યુનો ડર નહોતો પણ તેમને ચિંતા હતી કે મંદિરની સ્થાપના નથી થઈ અને જ્યાં સુધીમાં હું બ્રહ્મદેવ સાથે પરત ફરીશ ત્યાં સુધીમાં તેમની સ્થિતિ કેવી હશે. તેમની ચિંતા સમજીને દેવર્ષિ નારદે કહ્યું કે, બ્રહ્મલોક જતા પહેલા તમારે રાજ્યમાં 100 કુવા, જળાશયો અને મુસાફરો માટે ધર્મશાળાઓ બનાવી દો. આ સાથે જ 100 યજ્ઞ કરાવીને પુરીના આ ક્ષેત્રને પવિત્ર મંત્રોથી બાંધી દો. તેનાથી રાજ્યમાં ખ્યાતિ રહેશેશે અને પુરી ક્ષેત્ર સુરક્ષિત રહેશે.

રાજાએ આ તમામ કાર્યો પૂર્ણ કરાવી લીધા અને પછી જવા માટે તૈયાર થયા. ત્યારે રાણી ગુંડિચાએ કહ્યું કે, જ્યાં સુધી તમે પાછા ન આવો ત્યાં સુધી હું પ્રાણાયામ દ્વારા સમાધિમાં રહીશ અને તપસ્યા કરીશ. વિદ્યાપતિ અને લલિતાએ કહ્યું કે અમે રાણીની સેવા કરતા રહીશું. રાજાએ વિદ્યાપતિને રાજ્યનો હવાલો પણ સંભાળવા કહ્યું, પરંતુ તેમણે સિંહાસન પર બેસવાનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે હું રાણી માતાની સેવા કરતા જ રાજ્યનું રક્ષણ કરતો રહીશ.

આ તમામ વ્યવસ્થા કર્યા પછી રાજા દેવર્ષિ નારદ સાથે બ્રહ્મલોક પહોંચ્યા અને બ્રહ્માજીને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે વિનંતી કરી. બ્રહ્મદેવે રાજાની વાત સ્વીકારી અને તેમની સાથે ઉત્કલના શ્રીક્ષેત્ર પહોંચ્યા. જ્યારે તેઓ બધા પૃથ્વી પર પાછા ફર્યા, ત્યારે ઘણી સદીઓ વીતી ગઈ હતી. હવે પુરી પર કોઈ બીજાનું શાસન હતું. રાજાના તમામ સંબંધીઓ મૃત્યુ પામ્યા હતા, વાસ્તવમાં તેમના બધા સંબંધીઓની પેઢીઓમાં કોઈ બચ્યું જ ન હતું. આ દરમિયાન શ્રીમંદિર પણ સમયની સાથે રેતી નીચે દટાઈ ગયું હતું અને સદીઓ સુધી રેતીમાં જ રહ્યું.

જ્યારે રાજા બ્રહ્મલોક ગયા અને ત્યાંથી પરત ફર્યા ત્યાં સુધીમાં પૃથ્વી પર ઘણો સમય પસાર થઈ ગયો હતો. રાજા ઈન્દ્રદ્યુમ્નનું રાજ્ય પુરુષોત્તમ ક્ષેત્ર ઘણું બદલાઈ ગયું હતું અને બાકી રહેલી કસર સમુદ્રી તોફાનોએ પૂરી કરી. જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન પરત ફ્યા ત્યારે પુરીમાં બીજા રાજા ગાલુ માધવનું શાસન હતું. રાજા ઇન્દ્રદ્યુમ્ન પાછા ફરતાની સાથે જ આકસ્મિક રીતે (તોફાનને કારણે) દરિયા કિનારે બનેલું શ્રીમંદિર ઉપર આવી ગયું. રાજા ગાલુ માધવે તેનું ખોદકામ કરાવ્યું અને તેને સ્થાપિત કરવાની તૈયારી શરૂ કરી.

ઘણી સદીઓ બાદ રાજા પરત ફર્યા તો સામે આવ્યો વિવાદ

આ દરમિયાન ભૂતકાળના રાજા રહેલા ઈન્દ્રદ્યુમ્ન બ્રહ્મા દેવને લઈને આવી ગયા. હવે નવા રાજા ગાલુ માધવ અને જૂના રાજા ઈન્દ્રદ્યુમ્ન વચ્ચે વિવાદની સ્થિતિ ઊભી થઈ. પછી હનુમાનજી સંતના વેશમાં આવ્યા અને નવા રાજા ગાલુ માધવને બધી ઘટનાઓથી વાકેફ કર્યા. રાજા ગાલુ માધવ પણ કૃષ્ણના ભક્ત હતા. સંતના વેશમાં હનુમાનજીએ તેમને કહ્યું કે, જો આ રાજા સાચું બોલી રહ્યો છે તો તેમને મંદિરના ગર્ભગૃહનો દરવાજો શોધવાનું કહો. ગાલુ માધવના કહેવા પર આ મંદિર બનાવનાર રાજા ઈન્દ્રદ્યુમ્ને રેતીમાં દટાયેલા મંદિરના ગર્ભગૃહનો રસ્તો સરળતાથી શોધી કાઢ્યો, જે ગાલુ માધવના સૈનિકો અને કારીગરો અત્યાર સુધી સુધી નહોતા શક્યા. મંદિરનું ગર્ભગૃહ સામે આવતાની સાથે જ નીલ માધવનો વાદળી પ્રકાશ ચારે બાજુ ફેલાઈ ગયો અને મંદિર તેની સંપૂર્ણતા સાથે સામે આવ્યું.

બીજી તરફ  રાણી ગુંડિચાને પણ પોતાનો પતિ પરત આવી ગયો હોવાનો અહેસાસ થયો અને તેઓ સમાધિમાંથી ઉઠ્યા. જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે એક યુવાન દંપતી તેની સામે હાથ જોડીને ઉભું હતું. રાણીએ તેમનો પરિચય પૂછતા કહ્યું કે, શું તમે વિદ્યાપતિ અને લલિતાના પુત્ર અને પુત્રવધૂ છો? પછી તેની સામે ઉભેલા દંપતીએ કહ્યું, ના, તેઓ અમારા ખૂબ જ જૂના પૂર્વજો હતા, અમે ઘણી પેઢીઓથી તમને માઈ તરીકે પૂજતા આવ્યા છીએ, આ અમારા કુળની ખૂબ જ જૂની પરંપરા છે. તમે અમારા માટે દેવી છો અને અમે માનીએ છીએ કે તમારા કારણે પુરી ક્ષેત્રમાં ક્યારેય કોઈ આફત નથી આવી. 

રાણી ગુંડિચાની સમાધિ તૂટી

ત્યારે રાણી ગુંડિચાએ કહ્યું કે, ના બાળકો હું કોઈ દેવી નથી, પરંતુ તમારી પૂર્વજ ચોક્કસ છું. તમે મને દરિયા કિનારે આવેલા શ્રીમંદિર લઈ જાઓ. પછી તે યુવકે રાણી ગુંડિચાને રેતીમાં દટાયેલા મંદિર વિશે જાણ કરી અને ત્યાં લઈ ગયો. ફરી એકવાર રાજા ઇન્દ્રદ્યુમ્ન અને રાણીનું મિલન થયું. રાણીની વાત સાંભળીને રાજા ગાલુ માધવને પણ તમામ વાત પર વિશ્વાસ થઈ ગયો. આ ઉપરાં, તેને રાજા દ્વારા બનાવેલા 100 કુવાઓ, જળાશયો અને ધર્મશાળાઓના અવશેષો પણ મળ્યા, જેમાંથી તેને રાજાની ખ્યાતિ વિશે ખબર પડી. ગાલુ માધવે પોતાને રાજાને સમર્પિત કરી દીધા અને કૃષ્ણભક્તિ મેળવવા માટે તેમને પ્રાર્થના કરી.

હવે તમામ બાબતો સામે આવ્યા બાદ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. બ્રહ્મદેવે એક યજ્ઞ કરીને રાણી ગુંડિચા અને રાજા ઈન્દ્રદ્યુમ્નના હાથે ભગવાન જગન્નાથની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. પ્રાણ પ્રતિષ્ઠા થતાંની સાથે જ ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર એક સાથે પ્રગટ થયા. તેમણે રાજાને આશીર્વાદ આપ્યા અને તેમને ઈચ્છા પ્રમાણે વરદાન માંગવા કહ્યું. રાજાએ વરદાન માગ્યું કે, જે સૈનિકો અને શ્રમિકોએ મંદિર બનાવવા અને તેને ફરીથી રેતીમાંથી બહાર કાઢવા માટે શ્રમ કર્યો છે તે તમામ પર તમારી કૃપા બનાવી રાખજો.

રાજાએ માગ્યા અનેક વરદાન

જગન્નાથ ભગવાન કહ્યું કે વધુ વરદાન માગ. ત્યારે રાજાએ કહ્યું કે, જ્યારે પણ ભગવાન જગન્નાથની કથા કહેવામાં આવે છે ત્યારે તમારા પરમ ભક્ત વિશ્વવસુ, મારા ભાઈ વિદ્યાપતિ અને તેમની પત્ની લલિતાનું નામ ચોક્કસ લેવામાં આવે. ભગવાને કહ્યું વધુ માગ, ત્યારે રાજાએ કહ્યું કે, આ કાર્યમાં મને સાથે આપતા રાણી ગુંડિચાએ પોતાના માતૃત્વના સુખનો પણ ત્યાગ કર્યો, કૃપા કરીને તેમને તમારા ચરણોમાં એક વિશેષ સ્થાન આપો. ભગવાને કહ્યું કે વધુ માગ- રાજાએ કહ્યું તમારા મંદિરમાં આવનારા બધા ભક્તોને ધર્મના માર્ગ પર ચાલવાના આશીર્વાદ આપો. ભગવાને કહ્યું વધુ માંગ રાજન. પછી રાજાએ કહ્યું કે મારે બીજું શું માંગવું જોઈએ? પછી બલભદ્રે કહ્યું, તમે જે કંઈ માંગ્યું છે, તે તમે બીજાઓ માટે માંગ્યું છે, શું તમને તમારા માટે કંઈ નથી જોઈતું. ત્યારે રાજા ઈન્દ્રદ્યુમ્ને કહ્યું કે, તમારા ત્રણેયના સાક્ષાત દર્શન બાદ મારી કોઈ ઈચ્છા નથી બચી. 

ત્યારે ભગવાને સ્મિત કરીને કહ્યું કે, રાજન તમારી ઈચ્છા પ્રમાણે તમામ સેવકો અને શ્રમિકો પર મારી કૃપા રહેશે. તેમની પેઢીઓ જ મંદિરના વિવિધ કાર્યોમાં સેવા આપશે. વિશ્વવસુ, લલિતા અને વિદ્યાપતિના વંશજો મુખ્ય પૂજારી હશે. મંદિરને લગતી ઘણી વિધિઓ તેમના દ્વારા જ સંપન્ન થશે. આજે પણ રથ ઉપરાંત જગન્નાથ મંદિરમાં નવી મૂર્તિઓનું નિર્માણ પણ ત્યારથી ત્યારથી ચાલી આવેલા સેવકોના વંશજો જ કરી રહ્યા છે.

ભગવાને રાણી ગુંડિચાને માસી કહ્યા

ત્યારબાદ ભગવાને રાણી ગુંડિચા તરફ જોયું અને કહ્યું કે, તમે તો મારી માતાની જેમ પ્રતિક્ષા કરી છે, તમે મારી માતા જેવા છો, માતા જેવા ગુંડિચા દેવી તેથી આજથી તમે મારી માસી ગુંડિચા દેવી બની ગયા છો. હું વર્ષમાં એક વાર તમને મળવા ચોક્કસ આવીશ. જે સ્થાન પર તમે તપસ્યા કરી હતી તે સ્થાન હવે મારી માસી ગુંડિચાનું મંદિર હશે. તેને દેવી પીઠ તરીકે ઓળખવામાં આવશે. અમે ત્રણ ભાઈ-બહેનો તમારી પાસે આવીશું અને દુનિયા તેને રથયાત્રા તરીકે ઓળખશે.

આ પણ વાંચો: ઢાકામાં હિન્દુ મંદિર તોડી પડાયું, ભારતના કડક વિરોધ બાદ બાંગ્લાદેશે જુઓ શું કહ્યું

આ સાથે જ પુરીના દરેક રાજાને રથયાત્રા માર્ગને સોનાના સાવરણીથી સાફ કરવાનું સૌભાગ્ય મળશે. રથયાત્રા માર્ગ સાફ કરવાની પ્રથાને 'છેરા પહરા' કહેવામાં આવે છે. આ રીતે ભગવાને રાજન, રાણી ગુંડિચા, વિદ્યાપતિ અને લલિતા, વિશ્વવસુ અને પુરીના તત્કાલીન રાજા ગાલુ માધવ સહિત દર્શન કરવા આવેલા તમામ ભક્તોને વરદાન આપ્યું. ત્યારથી જગન્નાથ પુરી ભગવાનનું ઘર અનેધરતી પર નારાયણનું વૈકુંઠ બન્યું.

આવી રીતે બન્યું ગુંડિચા ધામ તીર્થ

પુરીના શ્રીમંદિરમાં વિદ્યાપતિ, લલિતા અને વિશ્વવસુના વંશજો જ પૂજા કરતા આવ્યા છે. તેમને દૈતાપતિ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત અન્ય સેવા કાર્યોમાં પણ શ્રમિકો-કારીગરોના વંશજો જ સામેલ છે. ભગવાન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે પ્રગટ થયા હતા, તેને તેમના જન્મ તરીકે જોવામાં આવે છે અને પછી 15 દિવસના વિશ્રામ બાદ તેમને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે છે અને બધાને દર્શન કરાવવામાં આવે છે અને રથયાત્રા કાઢવામાં આવે છે. આ પરંપરા આજે પણ ચાલુ છે. એટલા માટે ભગવાન દર વર્ષે રથમાં પોતાની માસી ગુંડિચા દેવી પાસે જાય છે. રાજા ઈન્દ્રદ્યુમ્નની પત્ની રાણી ગુંડિચા ભગવાનની માસી છે. તેમના ધામની માન્યતા શક્તિપીઠ સમાન છે, જેને ગુંડિચા પીઠ, ગુંડિચા દેવી અને ગુંડિચા તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Tags :