ઢાકામાં હિન્દુ મંદિર તોડી પડાયું, ભારતના કડક વિરોધ બાદ બાંગ્લાદેશે જુઓ શું કહ્યું
Bangladesh Hindu Temple Controversy: બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ખિલખેત વિસ્તારમાં 26 જૂને દુર્ગા મંદિર તોડી પાડવાના વિરોધમાં આજે 'બાંગ્લાદેશ બંધ'નું એલાન કરવામાં આવ્યું છે. આ ઘટના રથયાત્રાના એક દિવસ પહેલા બની હતી, જેના કારણે દેશભરના લઘુમતી હિન્દુ સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે. આના વિરોધમાં શુક્રવારે બાંગ્લાદેશના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શનો પણ થયા હતા. આ મામલે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ખિલખેત વિસ્તારમાં દુર્ગા મંદિર તોડી પાડવા અંગે ભારતે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે 26 જૂન, 2025નાં રોજ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આ મામલો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને તેને હળવાશથી લઈ શકાય નહીં. ભારતના પ્રતિભાવના એક દિવસ પછી, બાંગ્લાદેશ સરકારે શુક્રવારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી.
બાંગ્લાદેશે તેના સ્પષ્ટીકરણમાં શું કહ્યું?
બાંગ્લાદેશે કહ્યું કે, 'જે મંદિર તોડી પાડવામાં આવ્યું હતું તે રેલવે ટ્રેકની નજીક બનેલા ઘણા અનધિકૃત બાંધકામોમાંનું એક હતું. આથી આ મંદિરની મૂર્તિનું નજીકની નદીમાં સન્માનપૂર્વક વિસર્જન બાદ આ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું.' ભારતે દુર્ગા મંદિર તોડી પાડવા અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર કડક ટિપ્પણીઓ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ગયા વર્ષે ઑક્ટોબર 2024માં દુર્ગા પૂજા દરમિયાન, સ્થાનિક હિન્દુ સમુદાયે પરવાનગી લીધા વગર રેલવેની જમીન પર એક કામચલાઉ પૂજા મંડપ બનાવ્યો હતો. તે સમયે, રેલવેએ દુર્ગા પૂજા માટે મંડપ બનાવવાની પરવાનગી આપી હતી, પરંતુ કરાર હેઠળ, સમારંભ પછી મંડપ દૂર કરવાનો હતો. પરંતુ આયોજકોએ કરારનું ઉલ્લંઘન કર્યું અને પૂજા પૂર્ણ થયા પછી પણ મંડપ દૂર કરવામાં આવ્યો ન હતો. તેના બદલે, તેઓએ ત્યાં મહાકાળીની મૂર્તિ સ્થાપિત કરી. આથી સરકારે આ સરકારી જમીન પાછી મેળવવા માટે અનધિકૃત બાંધકામોને દૂર કરવા હિન્દુ મંદિર તોડી પાળવામાં આવ્યું હતું.'
ભારતના વિદેશ મંત્રાલયે દુર્ગા મંદિર તોડી પાડવા અંગે ટીકા કરી
ગુરુવારે, ભારતના વિદેશ મંત્રાલયે મંદિર તોડી પાડવા બદલ બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, 'મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર કટ્ટરપંથી તત્વોનો પક્ષ લઈ રહી છે.'
સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, 'અમે સમજીએ છીએ કે કટ્ટરપંથીઓ ખિલખેતમાં દુર્ગા મંદિર તોડી પાડવા માટે ઉત્સુક હતા. મંદિરને સુરક્ષા પૂરી પાડવાને બદલે વચગાળાની સરકારે એવું દેખાડ્યું કે મંદિર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે અને આજે મંદિર તોડી પાડવાની મંજૂરી આપી. આ દરમિયાન, મૂર્તિને નુકસાન થયું. બાંગ્લાદેશમાં આવી ઘટનાઓ સતત બની રહી છે, જે અમને નિરાશ કરે છે.'
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બાંગ્લાદેશ સરકારને લઘુમતીઓ પ્રત્યેની તેની જવાબદારી યાદ અપાવતા કહ્યું, 'હિન્દુઓ તેમની સંપત્તિ અને તેમના ધાર્મિક સ્થળોનું રક્ષણ કરવું બાંગ્લાદેશની વચગાળાની સરકારની ફરજ છે.'