Alt Newsના મોહમ્મદ ઝુબૈરની કેમ થઈ ધરપકડ ? દિલ્હી પોલીસે આપ્યો આ જવાબ
Updated: Jun 28th, 2022
- 2018માં કરવામાં આવેલા એક ટ્વીટમાં મોહમ્મદ ઝુબેરે ફિલ્મમેકર ઋષિકેશ મુખર્જીની 1983ની ફિલ્મ 'કિસી સે ન કહના'ની એક ક્લિપ શેર કરી હતી
નવી દિલ્હી, તા. 28 જૂન 2022, મંગળવાર
અલ્ટ ન્યૂઝ વેબસાઈટના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે સોમવારે સાંજે ધરપકડ કરી હતી. ઉશ્કેરણીજનક પોસ્ટ કરવાના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી
છે. દિલ્હી પોલીસની FIRમાં કહેવામાં આવ્યું છે કે, મોહમ્મદ જૂબેરની પોસ્ટ ખૂબ જ ઉશ્કેરણીજનક અને લોકોમાં નફરતની ભાવના પેદા કરનારી છે. હકીકતમાં 2018માં કરવામાં આવેલા એક ટ્વીટમાં મોહમ્મદ ઝુબેરે ફિલ્મમેકર ઋષિકેશ મુખર્જીની 1983ની ફિલ્મ 'કિસી સે ન કહના'ની એક ક્લિપ શેર કરી હતી. આ ક્લિપમાં એક તસ્વીર દેખાય છે જેમાં એક હોટલના બોર્ડ પર હનુમાન હોટલ હોય છે. તેમાંનો પેઈન્ટ દર્શાવે છે કે, પહેલા તેનું નામ 'હનીમૂન હોટેલ' હતું અને તેને ભૂંસી નાખીને હનુમાન હોટેલ લખવામાં આવ્યું છે.
હનુમાન હોટલ અને હનીમૂન હોટલ વાળા ટ્વીટના કારણે ધરપકડ
આ ક્લિપની સાથે મોહમ્મદ ઝૂબેરે કેપ્શનમાં લખ્યું હતું કે, 2014 પહેલા હનીમૂન હોટલ અને 2014 બાદ હનુમાન હોટલ. ઝૂબેર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે અદાલત પાસે ઝૂબેરની એક સપ્તાહની કસ્ટડી માંગી હતી જેને મેજિસ્ટ્રેટે ફગાવી દીધી હતી. પરંતુ એક દિવસની પોલીસ કસ્ટડીને મંજૂરી આપી છે. મોહમ્મદ ઝૂબેર વિરુદ્ધ આ ફરિયાદ દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટર અરૂણ કુમારે નોંધાવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેઓ સોશિયલ મીડિયાની મોનિટરી કરી રહ્યા હતા તે દરમિયાન તેમને 'હનુમાન ભક્ત' નામનું ટ્વિટર હેન્ડલ મળ્યું હતું જેમાં મોહમ્મદ ઝુબેરના ટ્વીટ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
FIRમાં કહેવામાં આવ્યું છે કે, આવી પોસ્ટને જાણીજોઈને મોહમ્મદ ઝૂબેર દ્વારા પબ્લિશ કરવામાં આવી હતી જેથી એક સમુદાય વિશેષની ભાવનાને ઠેસ પહોંચાડી શકાય અને શાંતિ તથા સદ્ભાવના માહોલને ખરાબ કરી શકાય. અલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક પ્રતીક સિંહાએ સોમવારે ઝૂબેરના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું.
સત્યના અવાજની ધરપકડ- રાહુલ ગાંધી
મોહમ્મદ ઝૂબેરની ધરપકડને લઈને વિપક્ષે પણ સરકાર પર પ્રહારો કર્યા છે. એક તરફ TMC સાંસદ મહુઆ મોઈત્રાએ દિલ્હી પોલીસની કાર્યવાહીને પોતાના હાઈકમાન્ડોને ખુશ કરવાનો પ્રયત્ન ગણાવ્યો છે. બીજી તરફ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે ઝૂબેરના સમર્થનમાં લખ્યું છે કે, જો તમે સત્યના એક અવાજની ધરપકડ કરશો તો તેમાંથી હજારો અવાજો ઉઠશે.