Get The App

‘વડાપ્રધાન અમને ચોર કહેશે, એવી આશા ન હતી...', મમતા બેનર્જીએ ફરી પીએમ મોદી પર કર્યા પ્રહાર

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
‘વડાપ્રધાન અમને ચોર કહેશે, એવી આશા ન હતી...', મમતા બેનર્જીએ ફરી પીએમ મોદી પર કર્યા પ્રહાર 1 - image

West Bengal Political News : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એકવાર આકરા પ્રહારો કર્યા છે. પૂર્વ બર્ધમાનમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે તેમણે વડાપ્રધાનની તાજેતરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, તેમને વડાપ્રધાન પાસેથી ક્યારેય એવી અપેક્ષા નહોતી કે, તેઓ તેમની ખુરશીનું અપમાન કરવાની સાથે-સાથે રાજ્યના લોકોને ‘ચોર’ કહીને સમગ્ર બંગાળનું અપમાન કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘જેમ હું તેમની ખુરશીનું સન્માન કરું છું, તેમ તેમણે પણ મારી ખુરશીનું સન્માન કરવું જોઈએ.’

વડાપ્રધાન ચૂંટણી સમયે જ બંગાળમાં આવે છે : મમતા બેનર્જી

મમતા બેનર્જી(CM Mamata Banerjee)એ આક્ષેપ કર્યો છે કે, ‘કેન્દ્ર સરકારે રાજ્યને ફાળવવામાં આવતું ફંડ અટકાવી દીધું છે, જેના કારણે રાજ્યના ખજાના પર મોટો બોજ પડ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્રના તમામ પ્રશ્નોના જવાબો આપ્યા હોવા છતાં આ ફંડ રોકી દેવાયું છે. તેઓ ચૂંટણીના પ્રવાસી પક્ષીની જેમ માત્ર ચૂંટણી સમયે જ પશ્ચિમ બંગાળ આવે છે અને આ દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર જેવી 'ડબલ એન્જિન' સરકારો હેઠળ થયેલા ભ્રષ્ટાચાર પર આંખ આડા કાન કરે છે.’

આ પણ વાંચો : ‘I.N.D.I.A. ગઠબંધનના નેતાઓને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માગવા તૈયાર છું’ RSSની પ્રાર્થના મુદ્દે ડી.કે.શિવકુમારનું નિવેદન

બંગાળનું ફંડ TMCના કાર્યકરો ખાઈ ગયા : PM મોદી

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી(PM Modi)એ 22 ઑગસ્ટે કોલકાતામાં એક જનસભા સંબોધી હતી, જેમાં તેમણે મમતા બેનર્જી પર નિશાન સાધી કહ્યું હતું કે, ‘ભ્રષ્ટાચાર, ગુના અને તૃણમૂલ કોંગ્રેસ એકબીજાના પર્યાય છે. કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળ સરકારને અપાતું ફંડ લોકો સુધી પહોંચતું નથી, પરંતુ તેને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ખાઈ જાય છે.’ પીએમ મોદીની આ ટિપ્પણીથી મમતા બેનર્જી ભડક્યા હતા અને તેનો તીવ્ર વિરોધ કર્યો હતો.

મમતા બેનર્જીએ PMના આક્ષેપોને ફગાવ્યા

મમતા બેનર્જીએ વડાપ્રધાનના ભ્રષ્ટાચારના આરોપોને ફગાવી દેતાં કહ્યું કે, ‘ભ્રષ્ટાચારની તપાસ માટે કેન્દ્રએ પશ્ચિમ બંગાળમાં 186 ટીમો મોકલી હતી, પરંતુ તેમને કંઈ મળ્યું નહીં. જ્યારે કોઈ વિદ્યાર્થી તમામ પ્રશ્નોના જવાબ આપે, છતાં તેને શૂન્ય માર્કસ અપાય તો તે કેવી રીતે સાંખી લેવાય? અમે આ અપમાન સહન નહીં કરીએ.’

આ પણ વાંચો : બાંગ્લાદેશ : ફેબ્રુઆરીમાં ચૂંટણી પછી યુનુસ નવી સરકારને સત્તા સોંપશે, ચારે બાજુથી દબાણ વચ્ચે જાહેરાત