India

‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા

By GS TEAM
2 Feb 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કર્યા બાદ, ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, 'મેં ક્યારેય આટલો અહંકારી અને જૂઠો મુખ્ય ચૂંટણી કમિશનર જોયો નથી.' તેમણે પંચ પર બંગાળના મતદારોને નિશાન બનાવવાનો અને ભાજપના ઈશારે કામ કરવાનો આક્ષેપ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

‘મુખ્ય ચૂંટણી કમિશનર અહંકારી અને જૂઠા’ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત બાદ મમતા બેનરજી ભડક્યા

Mamata Banerjee Slams CEC Gyanesh Kumar : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કર્યા બાદ, ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, 'મેં ક્યારેય આટલો અહંકારી અને જૂઠો મુખ્ય ચૂંટણી કમિશનર જોયો નથી.' તેમણે પંચ પર બંગાળના મતદારોને નિશાન બનાવવાનો અને ભાજપના ઈશારે કામ કરવાનો આક્ષેપ કર્યો હતો.

બેઠકમાં મમતા બેનરજી ગુસ્સે થયા

ચૂંટણી પંચ (Election Commission)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં બેઠક ખૂબ જ વ્યવસ્થીત ચાલી રહી હતી અને પંચ તમામની વાતો ધ્યાનથી સાંભળી રહ્યું હતું. પરંતુ અચાનક મમતા બેનર્જીએ ટેબલ પર હાથ પછાડ્યો અને બેઠકનો બહિષ્કાર કરીને બહાર નીકળી ગયા હતા. તેમની પાછળ પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો પણ બહાર આવી ગયા હતા.


નામોની જોડણી અને SIR પ્રક્રિયા પર આકરા પ્રહાર 

મમતા બેનર્જીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'હું ખૂબ જ દુઃખી છું. હું દિલ્હીની રાજનીતિમાં લાંબા સમયથી સક્રિય છું, ચાર વાર મંત્રી અને સાત વાર સાંસદ રહી ચૂકી છું. મેં આજ સુધી આવો અહંકારી અને જૂઠો ચૂંટણી કમિશનર જોયો નથી. મેં તેમને કહ્યું કે હું તમારી ખુરશીનું સન્માન કરું છું, કારણ કે કોઈ પણ ખુરશી કાયમી હોતી નથી. એક દિવસ તમારે જવું જ પડશે.'

‘બંગાળને કેમ નિશાન બનાવો છો?’

તેમણે આરોપ લગાવ્યો કે, 'બંગાળને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે? લોકશાહીમાં ચૂંટણી એક ઉત્સવ સમાન છે, પરંતુ તમે 98 લાખ લોકોના નામ હટાવી દીધા અને તેમને બચાવની તક પણ ન આપી. નામોની જોડણીમાં નાની ભૂલો (જેમ કે બેનર્જી-બંદ્યોપાધ્યાય, મુખર્જી-મુખોપાધ્યાય)ના કારણે દાવાઓ રદ કરવામાં આવી રહ્યા છે. બંગાળમાં સરનેમમાં તફાવત સામાન્ય છે, જેમ કે ચેટર્જીને ચટ્ટોપાધ્યાય લખવામાં આવે છે, પરંતુ તેને ભૂલ માનીને નામ કાપવામાં આવી રહ્યા છે.'

દલિત અને લઘુમતીઓને ટાર્ગેટ કરવાનો આરોપ 

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, 'BLO પર દબાણ કરવામાં આવી રહ્યું છે અને દલિત તથા લઘુમતી વર્ગને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. 58 લાખ લોકોના નામ અગાઉ જ પૂછ્યા વગર હટાવી દેવામાં આવ્યા હતા. અન્ય રાજ્યોમાં અલગ નિયમ છે, પરંતુ બંગાળ, કેરળ અને તમિલનાડુને નિશાન બનાવાય છે. આસામમાં SIR કેમ કરવામાં આવ્યું નથી? ચૂંટણી પહેલા આટલી ઉતાવળ કેમ? ચૂંટણીવાળા રાજ્યોને બાકાત રાખવા જોઈતા હતા.'

આ પણ વાંચો : સ્પીકરનું અપમાન થયું, કોંગ્રેસ આ પાપ માટે માફી માંગે : ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ આક્રમક

'તમારી હાલત ધનખડ જેવી થશે' 

મમતા બેનર્જીએ આકરા શબ્દોમાં કહ્યું કે, 'અમે CECને કહી દીધું છે કે તમારી હાલત ધનખડ જેવી થશે. તમે ભાજપના કહેવા પર કામ કરી રહ્યા છો. અમે અહીં ન્યાય માટે આવ્યા હતા, પરંતુ અમારી સાથે અન્યાય થયો છે. CECએ કહ્યું કે SIR એટલા માટે કર્યું કારણ કે TMCએ ડુપ્લિકેટ મતદારોનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ આ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન છે. જો ભાજપ રહેશે તો જ તમારી ખુરશી રહેશે. આજે તમે ખુરશી બચાવી શકો છો, કાલે નહીં.'

મમતા પીડિત પરિવારોનું પ્રતિનિધિમંડળ લઈને બેઠકમાં પહોંચ્યા

TMCના 15 સભ્યોના પ્રતિનિધિમંડળમાં અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી પણ સામેલ હતા. આ સાથે SIRથી પ્રભાવિત 12 પરિવારો પણ હાજર રહ્યા હતા. જેમાં એવા પાંચ મતદારો છે જેમને મૃત જાહેર કરીને નામ કાઢી નખાયા છે અને ત્રણ એવા પરિવારો છે જેમના ઘરના BLOનું કામના દબાણને કારણે મોત થયું હોવાનો દાવો છે.

આ પણ વાંચો : શરદ પવારને ઝટકો! અજિત પવારના નિધન બાદ બદલાયા સમીકરણો, NCPનું વિલિનીકરણ અટક્યું