Get The App

ભીડને કાબૂમાં લેવા કઈ SOP અનુસરી હતી? કર્ણાટક હાઈકોર્ટે બેંગ્લુરૂ નાસભાગ મામલે રાજ્ય સરકારને ફટકારી નોટિસ

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
ભીડને કાબૂમાં લેવા કઈ SOP અનુસરી હતી? કર્ણાટક હાઈકોર્ટે બેંગ્લુરૂ નાસભાગ મામલે રાજ્ય સરકારને ફટકારી નોટિસ 1 - image


Karnataka High Court On Stampede: બેંગ્લુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે આઈપીએલ 2025ની જીતની ઉજવણી દરમિયાન સર્જાયેલી નાસભાગની દુર્ઘટનામાં કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. કર્ણાટક સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવવા શહેરના પોલીસ સચિવ, ડીસીપી, અને એસપી સહિત 1000થી વધુ પોલીસ તૈનાત હતાં. પરંતુ ઉપ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે દાવો કર્યો હતો કે, ભીડને કાબૂમાં લેવા 5000 પોલીસકર્મી તૈનાત હતાં.

કર્ણાટક હાઈકોર્ટે એક્ટિંગ ચીફ જસ્ટિસ વી. કામેશ્વર રાવ અને જસ્ટિસ સીએમ જોષીની ડિવિઝન બેન્ચે સરકારને સવાલ કર્યો હતો કે, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સન્માન સમારોહ દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે તો તેના માટે કંઈ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર) તૈયાર કરી હતી? આ નાસભાગ પાછળનું કારણ જણાવતો અને દુર્ઘટના ન સર્જાય તે માટે કેવી તકેદારીઓ રાખવા અને સામનો કરવાની તૈયારીઓ સહિતનો રિપોર્ટ રજૂ કરો. આ રિપોર્ટ 15 દિવસની અંદર રજૂ કરવા આદેશ છે. 

કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, બેંગ્લુરૂમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની ક્ષમતા 30,000 લોકોની હતી. પરંતુ 2.5 લાખ લોકો સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતાં. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે 1400 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કર્યા હતાં. પરંતુ અચાનક વધુ પડતી ભીડ ઉમટી પડતાં નિયંત્રણ ગુમાવ્યું હતું. 

અફવાઓના લીધે થઈ હતી ભીડ

કેન્દ્ર સરકાર તરફથી દલીલ કરી રહેલા એડવોકેટ જનરલ શશિ કિરણ શેટ્ટીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી હોવાની અફવા વહેતી થઈ હતી. જેના લીધે 2.5 લાખ લોકો સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતાં. આ દુર્ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવામાં આવશે નહીં. મામલાની આગામી સુનાવણી 10 જૂનના રોજ થશે.

 આ પણ વાંચોઃ કોરોના કેસના એક્ટિવ કેસનો આંકડો 5 હજારની નજીક, 24 કલાકમાં 7 દર્દીઓના મોત

આરસીબીનું સન્માન કરવાનો નિર્ણય કોનો હતો

અરજદારના વકીલે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, આરસીબીના ખેલાડીઓને સન્માનિત કરવાનો નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો હતો. તેઓ દેશ માટે રમ્યા ન હતાં, તો આ ખેલાડીઓને સન્માનિત કરવાની શું જરૂર છે. ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષાના કેવા પગલાં લેવામાં આવ્યા હતાં. આ ગુનાહિત બેદરકારી છે. 

ભીડને કાબૂમાં લેવા કઈ SOP અનુસરી હતી? કર્ણાટક હાઈકોર્ટે બેંગ્લુરૂ નાસભાગ મામલે રાજ્ય સરકારને ફટકારી નોટિસ 2 - image

નાસભાગમાં 11ના મોત, 30થી વધુ ઘાયલ

ગઈકાલે આરસીબીના સન્માન સમારોહમાં ખેલાડીઓની ઝલક નિહાળવા માટે ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. જેના લીધે સ્ટેડિયમની બહાર અચાનક નાસભાગ થતાં 11ના મોત થયા હતા. 33 લોકો ઘાયલ થયા હતાં. રાજ્ય સરકારે તમામ ઈજાગ્રસ્તોની સંપૂર્ણ સારવારની જવાબદારી લીધી છે. 

આરસીબી, પોલીસ કમિશનરને પણ નોટિસ પાઠવશે

હાઈકોર્ટે તપાસમાં સામેલ થવા માટે કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ, આરસીબી, અને પોલીસ કમિશનર બી દયાનંદને નોટિસ ફટકારવાનો આદેશ પણ આપ્યો છે. મેજિસ્ટ્રેટ તપાસનું નેતૃત્વ કરી રહેલા બેંગ્લુરૂ શહેરી નાયબ કમિશનર જી જગદીશે જણાવ્યું હતું કે, 15 દિવસની અંદર સમગ્ર દુર્ઘટનાની તપાસ પૂર્ણ કર્યા બાદ આ તમામને નોટિસ ફટકારવામાં આવશે. 

ભીડને કાબૂમાં લેવા કઈ SOP અનુસરી હતી? કર્ણાટક હાઈકોર્ટે બેંગ્લુરૂ નાસભાગ મામલે રાજ્ય સરકારને ફટકારી નોટિસ 3 - image

Tags :