અમે લોકોની વાત 8 કલાક સાંભળીએ છીએ પરંતુ, અમે 15 મિનિટ જ બોલીએ છીએ : રાહુલ
Updated: Nov 24th, 2022
- વડાપ્રધાનની 'મન કી બાત'થી વિરૂદ્ધ અમે ખેડૂતો યુવાનો મહિલાઓ મઝદૂરો અને નાના વેપારીઓની વાત આખો દીવસ સાંભળીએ છીએ
બુરહાનપુર (મ.પ્ર.) : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે તેઓ રોજ આશરે ૮ કલાક ચાલે છે અને આશરે ૨૫ કી.મી. રોજ કાપે છે. અમે યાત્રા દરમિયાન લોકો સાથે વાતચીત પણ કરીએ છીએ, અમે લોકોની મન કી બાત રોજે રોજ આશરે ૮ કલાક સાંભળીએ છીએ, પરંતુ ૧૫ મિનિટ જ બોલીએ છીએ. વડાપ્રધાનની 'મન કી બાત'થી વિરૂદ્ધ અમે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મઝદૂરો અને નાના વ્યાપારીઓની વાત આખો દીવસ સાંભળીએ છીએ. તેમ રાહુલ ગાંધીએ ગઇકાલે સાંજે તેઓની ભારત જોડો યાત્રા દરમિયાન અહીં યોજાએલી નાની સભાને સંબોધતાં કહ્યું હતું.
મધ્યપ્રદેશમાં પહેલું પગલું મુકતાં મને ઘણો આનંદ થાય છે. આપણે ઘણી ઘણી વાતો કરવાની છે. અમે તમોને ભેટીશું, ખેડૂતો અને યુવાનોના પ્રશ્નો સમજવા કોશીશ કરીશું. દરેક રાજ્યોમાં અને દરેક જિલ્લાઓમાં પ્રશ્નો પણ જુદા જુદા હોય છે. તેમ પણ કોંગ્રેસ પૂર્વપ્રમુખે આ તત્કાળ મળેલી નાની જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું હતું કે અમે મધ્યપ્રદેશમાં સરકાર રચી જ હતી, પરંતુ તેમણે (ભાજપે) અમારા ૨૦થી ૨૫ ભ્રષ્ટ વિધાયકોને ખરીદી લીધા.
અમે કન્યા કુમારીથી અમારી યાત્રા શરૂ કરી હતી. અમે જ્યારે યાત્રા શરૂ કરી ત્યારે લોકોએ કહ્યું ભારતની (ઉ.પ્ર.) લંબાઈ ૩,૩૦૦ કી.મી.ની છે તમે પગપાળા આટલું જઈ નહીં શકો. પરંતુ હવે તો અમે મધ્ય પ્રદેશમાં આવ્યા છીએ. અમે તેમાં ૩૭૦ કી.મી. કાપીશું. યાત્રા શ્રીનગર પહોંચશે જ, અને આપણો ત્રિરંગો ધ્વજ ત્યાં ફરકશે જ. કોઈ તે રોકી શકે તેમ નથી.
આ યાત્રાનાં મુખ્ય ત્રણ ધ્યેયો છે (૧) સૌથી પહેલું ધ્યેય તો ધિક્કારની ભાવના દૂર કરવાનુ છે. (૨) બીજું ધ્યેય બેકારી સામેનું છે અને (૩) ત્રીજું ધ્યેય ભાવવધારા (ફુગાવા) સામેનુ છે. તેમ કહેતાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આ પૂર્વ પ્રમુખ અને વરિષ્ટ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે યુવાનો ખેડૂતો અને બેકારો સહિત લાખ્ખો લોકો આ યાત્રામાં જુદાં જુદાં સ્થળે જોડાઈ જ રહ્યા છે.
દરમિયાન આજે (ગુરૂવારે) કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના પતિ રોબર્ટ વાડ્રા અનેપુત્ર રેહાન તેમજ રાજસ્થાનના કોંગ્રેસના નેતા સચિન પાયલોટ પણ રાહુલ ગાંધીની પદયાત્રામાં મધ્ય પ્રદેશનાં બોરગાંવથી જોડાયાં હતાં.