વક્ફ બિલ મુદ્દે I.N.D.I.A.માં તિરાડ પડી! સંજય રાઉતે કહ્યું - અમે સુપ્રીમ કોર્ટ નથી જવાના, ફાઇલ બંધ

Sanjay Raut on Waqf Bill: વક્ફ બિલ પર I.N.D.I.A. ગઠબંધનના પક્ષકારો વચ્ચે કોઈ સર્વસંમતિ નથી કે તેઓએ તેનો વિરોધ કરવો જોઈએ કે સમર્થન કરવું જોઈએ. એક તરફ કોંગ્રેસ અને ડીએમકેએ સંસદ દ્વારા પસાર કરાયેલા આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે અને તેને ગેરબંધારણીય ગણાવ્યું છે, તો બીજી તરફ શિવસેના (ઉદ્ધવ જૂથ) જે I.N.D.I.A. ગઠબંધનનો ભાગ છે. તેમણે કહ્યું છે કે, 'બિલ સામે સુપ્રીમ કોર્ટમાં જશે નહીં.' જો કે, ઉદ્ધવ સેનાએ લોકસભા અને રાજ્યસભામાં આ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો. પરંતુ હવે પાર્ટી કહે છે કે આ ફાઇલ હવે તેમના માટે બંધ છે.
આ ફાઇલ હવે અમારા માટે બંધ છે: સંજય રાઉત
બિહારના કિશનગંજના કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે વક્ફ (સુધારા) બિલની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેઓ આ બિલ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ(JPC)ના સભ્ય પણ હતા. આ દરમિયાન શિવસેના(ઉદ્ધવ જૂથ)ના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે, 'અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું નહીં.' અમે અમારું કામ કરી દીધું છે. જે કંઈ કહેવાનું હતું, જે કંઈ કહેવાનું હતું, તે બધું સંસદના બંને ગૃહોમાં થયું. આ ફાઇલ હવે અમારા માટે બંધ છે.'
આ પણ વાંચો: વક્ફ બિલ પાસ થઈ જતાં વિપક્ષ પાસે 3 વિકલ્પ.... જે કલમ 370, CAA વખતે ન થયું તે હવે થશે?
ઉલ્લેખનીય છે કે, વક્ફ (સુધારા) બિલને લોકસભા અને રાજ્યસભાએ મંજૂરી આપી દીધી છે અને તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી, આ બિલ કાયદો બનશે અને કેન્દ્ર સરકાર દ્વારા ગેઝેટ સૂચના જારી થતાં, તે સમગ્ર દેશમાં અમલમાં આવશે. લોકસભામાં વક્ફ બિલના સમર્થનમાં 288 મત પડ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. રાજ્યસભામાં, આ બિલના સમર્થનમાં 128 મત પડ્યા, જ્યારે તેની વિરુદ્ધ 95 મત પડ્યા હતા.


