ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડ વચ્ચે વિવાદ યથાવત્! ટૂંક સમયમાં મળશે યોગી અને ધામી, જાણો મામલો
Uttar Pradesh And Uttarakhand Controversy : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચે સરકારી સંપત્તિ અને જવાબદારીઓના વિભાજન મામલે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. અવાર-નવાર બેઠકો કરી તેમાંથી અનેક મુદ્દાઓ ઉકેલી દેવાયા છે. જ્યારે બાકી મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી (CM Pushkar Dhami) મુલાકાત કરવાના છે.
ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડનું વિભાજન કરી નવું રાજ્ય જાહેર કરાયું હતું
વાસ્તવમાં દેશમાં વર્ષ 2000માં 9મી નવેમ્બરે વધુ એક રાજ્યની સ્થાપના થઈ હતી. તે વખતે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશનું શહેર હતું, જેને છૂટું પાડીને અલગ રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી બંને રાજ્યો વચ્ચે સરકારી સંપત્તિ અને જવાબદારીઓ (જેમ કે દેવા, જવાબદારીઓ, સરકારી વિભાગોને લગતા બાકી લેણાં વગેરે)ના વિભાજનનો વિવાદ ચાલી રહ્યો છે. આમાંથી અનેક મુદ્દાઓ ઉકેલી દેવાયા છે, જોકે કેટલાક મુદ્દાઓ પર હજુ ચર્ચા-વિચારણા ચાલી રહી છે. હવે બાકીના મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે બંને રાજ્યના મુખ્યમંત્રીઓ મુલાકાત કરવાના છે.
બાકીના મુદ્દાઓનો ટૂંક સમયમાં સમાધાન લાવો : ધામીના અધિકારીઓને નિર્દેશ
મુખ્યમંત્રી યોગી સાથે મુલાકાત કર્યા પહેલા મુખ્યમંત્રી ધામીએ બેઠક યોજી બંને રાજ્યોની ‘સરકારી સંપત્તિ અને જવાબદારીઓના વિભાજન’ મામલાની સમીક્ષા કરી છે. બેઠકમાં ધામીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, ‘અગાઉની બેઠકમાં બંને રાજ્યો જે મુદ્દે સંમત થયા હતા, તે મુદ્દામાંથી જે કામગીરી પ્રગતિ પર છે, તે માટે ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવે અને ટૂંક સમયમાં તેનું સમાધાન લાવવામાં આવે.’ ધામી આ મુદ્દે ટૂંક સમયમાં યોગી સાથે બેઠક કરશે.
બંને રાજ્યો વચ્ચે વિવાદના મુદ્દા
- રાજ્યની મિલકતોનું સંપૂર્ણ વિભાજન થયું નથી.
- ઘણા કોર્પોરેશનોમાં હિસ્સા અંગે વિવાદ : ઉત્તરાખંડ કહે છે કે તેને 13% હિસ્સો મળવો જોઈએ, જ્યારે ઘણા કિસ્સાઓમાં તેને સંપૂર્ણ અધિકારો મળ્યા નથી.
- કર્મચારી ભવિષ્ય નિધિ (G.P.F.) ખાતાઓનું ટ્રાન્સફર લાંબા સમય સુધી અટવાયેલું છે.
- સિંચાઈ વિભાગની મિલકત અને બજેટ : સિંચાઈ પ્રોજેક્ટ્સ પર નાણાકીય વિવાદ
- આવાસ અને બાંધકામ નિગમોની મિલકતોનું ટ્રાન્સફર વિવાદિત રહ્યું.