Sonbhadra Mining Accident : ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં ઓબરા વિસ્તારમાં શનિવારે (15 નવેમ્બર) પથ્થર ખનન દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાના અહેવાલ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, અહીં ભૂસ્ખલન થતાં સોનભદ્રના ઓબરા વિસ્તારમાં પથ્થરની ખાણ ધસી પડી હતી. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં બે શ્રમિકોના મોતની પુષ્ટિ કરાઈ છે. ખાણમાં પથ્થર ખનનની કામગીરી કરતાં અનેક શ્રમિક અને એક કમ્પ્રેસર ઓપરેટર કાટમાળમાં દટાયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરી શરુ કરી છે.
18 શ્રમિક કામ કરતા હોવાની આશંકા
પ્રારંભિક માહિતી મુજબ, ખાણમાં લગભગ 18 જેટલા શ્રમિક કામ કરી રહ્યા હતા. આ દરમિયાન કમ્પ્રેશન મશીનથી ડ્રિલિંગ કરતી વખતે અચાનક ખાણનો એક ભાગ તૂટી પડતાં બધા શ્રમિક કાટમાળ નીચે દટાયા છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, હાલ ઘટનાસ્થળ પર પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે. આ ઉપરાંત NDRF અને SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના કરાઈ છે.
આ પણ વાંચોઃ ફરીદાબાદથી જપ્ત કરેલા વિસ્ફોટકના જથ્થામાં બ્લાસ્ટ થયો: નૌગામમાં 9 મોત મામલે ગૃહમંત્રાલયનું સત્તાવાર નિવેદન
દુર્ઘટનાના કારણોની તપાસ કરાશે
સોનભદ્ર પોલીસે આ દુર્ઘટના અંગે માહિતી આપતાં કહ્યું કે, ‘ખાણમાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. પોલીસ હાલ ઘટના સ્થળ પર હાજર છે અને તમામ એજન્સીઓએ સાથે મળીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. અમને આશંકા છે કે ખનન કામગીરી દરમિયાન સુરક્ષાના માપદંડોનું પાલન કરાયું નહોતું. હવે ઘટના કેવી રીતે બની તેના કારણોની તપાસ કરાશે અને દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરાશે.’
CM યોગની મુલાકાત બાદ દુર્ઘટના
નોંધનીય છે કે, આ ઘટના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સભા સ્થળથી માત્ર 5 કિલોમીટર દૂર બની છે. ઘટનાના થોડાક કલાકો પહેલાં જ યોગી આદિત્યનાથ આ ઘટનાસ્થળની નજીક એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. હાલ આ ઘટનામાં કોઈના મોત થયા હોવાની માહિતી સામે આવી નથી. જો કે, ઘટનાની ગંભીરતા જોઈને કેટલાક લોકોના મોત થયા હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.
આ પણ વાંચોઃ દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, હુમલા પહેલા મોબાઈલ શોપમાં જોવા મળ્યો


