એક પોલીસકર્મીની હત્યા બાદ 400 પરિવારોનું પલાયન, યુપીના આ ગામડામાં એવું તો શું થયું?
Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના નાહલ ગામમાં રવિવારે (25મી મે) એક હિસ્ટ્રીશીટરની ધરપકડ કરવા પહોંચેલી નોઈડા પોલીસ ટીમ પર થયેલા હુમલામાં કોન્સ્ટેબલ સૌરભ કુમારનું મોત થયું હતું. ત્યારથી પોલીસ હુમલો કરનારા તત્ત્વો સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં, લગભગ 14 લોકોની અટકાયત કરવામાં આવી છે અને ફાયરિંગની ઘટના માટે સાવચેતીના પગલા તરીકે 42 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી વચ્ચે નાહલ ગામમાં લગભગ 400 પરિવારો પલાયન કરી ચૂક્યા છે. તેનું કારણ છે પોલીસની તાબડતોબ કાર્યવાહી.
ગામના સરપંચ કહે છે કે લોકો ડરી ગયા છે અને મને નથી ખબર કે કોની ધરપકડ થશે? દરેક લોકોમાં ભય દેખાઈ આવે છે. જ્યારે આ મામલે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો તો મસૂરી પોલીસના એધ અધિકારી અજય કુમારે કહ્યું કે પોલીસ પોતાનું કામ કરી રહી છે. લોકોએ જે કહેવું હોય તે કહે.
ગામમાં 95 ટકા લોકો મુસ્લિમ છે
અહેવાલો અનુસાર, નાહલ ગામમાં લગભગ 400 પરિવારો પોતાના ઘર છોડીને નાસી ગયા છે. પોલીસ જેને ઈચ્છે છે તેની ધરપકડ કરી રહી છે. ઘણાં લોકો પોતાના સંબંધીઓના ઘરે ભાગી ગયા હોવાની ચર્ચા છે. ગામના વડા તસવ્વુર અલીએ કહ્યું કે, 'નાહલમાં લગભગ 10,000 લોકો રહે છે. તેમાંથી 95 ટકા મુસ્લિમ છે અને બાકીના અનુસૂચિત જાતિના છે. મને ખબર નથી કે શું કરવું, મેં આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે, હું કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું.'
પોલીસ પર આરોપ લગાવતા 65 વર્ષીય બાબુ ખાને કહ્યું કે, 'જ્યારે હું સૂતો હતો, ત્યારે લગભગ 35 પોલીસકર્મીઓ મારા ઘરમાં ઘૂસી ગયા. બારીના કાચ તૂટેલા હતા અને લોખંડના દરવાજાને નુકસાન થયું હતું.'
બાબુ ખાનની પત્નીએ કહ્યું કે, 'મને મારા ટેરેસ પર પગનો અવાજ સંભળાયો. પોલીસ ટેરેસ પરથી અમારા ઘરમાં ઘૂસી આવી અને પછી તેઓ મારા બેડરૂમમાં પ્રવેશ્યા. મારા પતિ મારી બાજુમાં સૂતા હતા. તેઓએ તેમને જગાડ્યા હતા.'