New Aadhaar App: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ જાહેરાત કરી છે કે 28 જાન્યુઆરી 2026ના રોજ Aadhaar App (આધાર એપ)નું સંપૂર્ણ વર્ઝન લોન્ચ કરવામાં આવશે. જેમાં યુઝર્સને ઘણી નવી સુવિધાઓ ઘરે બેઠા મળશે. આ અપડેટ બાદ ભૌતિક (ફિઝિકલ) આધાર કાર્ડ રાખવાની જરૂરિયાત મહદઅંશે સમાપ્ત થઈ જશે. નવા વર્ઝનમાં આધાર એપને હવે ડિજિટલ કાર્ડને માત્ર જોઈ શકાય તેવા પ્લેટફોર્મથી એક સંપૂર્ણ ડિજિટલ ઓળખ ટૂલ તરીકે સ્થાપિત કરી દેવામાં આવશે.
UIDAIની સત્તાવાર સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, એપ અપડેટ પછી ન માત્ર તમારું આધાર વેરિફિકેશન QR કોડ દ્વારા શક્ય થશે, પણ રહેઠાણ(એડ્રેસ), મોબાઈલ નંબર, નામ અને ઈમેઈલ જેવી મહત્વપૂર્ણ જાણકારી પણ એપના માધ્યમ થકી અપડેટ કરવાની સુવિધા મળશે.
શું લાભ મળશે?
આ ફેરફારથી એ લાખો નાગરિકોને ફાયદો થશે જે સરકારી તેમજ અંગત કાર્યમાં રોજિંદા આધાર કાર્ડનો ઉપયોગ કરે છે. આ અપડેટ આધાર કાર્ડને કાગળમાંથી ડિજિટલ સ્વરૂપમાં બદલવાનો પ્રત્યન છે. જેનો ઉદ્દેશ્ય ઝડપી ઓળખ વેરિફિકેશન પ્રક્રિયા, સુરક્ષા સાથે કોઈ પણ સ્થળે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવો છે. આનાથી ન માત્ર સમયની બચત થશે પ ણ ઓળખ સાથે થતી છેતરપિંડી અને ડેટા ફોટોકોપીનું જોખમ પણ નોંધપાત્ર રીતે ઘટશે.
Aadhaar Appના નવા વર્ઝનમાં શું છે ખાસ?
1: ડિજિટલ ઓળખ, આધાર કાર્ડ સાથે રાખવાની જરૂરી નહીં
હવે આધાર કાર્ડ કે તેની નકલ સાથે રાખવાની જરૂર નહીં પડે, તમારા મોબાઈલ ફોનમાં Aadhaar Appમાં બતાવતી ઓળખ જ પ્રમાણિત મનાશે. જે હોટલ, ગેસ્ટ હાઉસ કે અન્ય સ્થળો પર ઓળખને સત્યતા માટે ઉપયોગમાં લઈ શકાશે
2: QR કોડ આધારે થશે ઓળખ
નવા એપમાં QR કોડ સ્કેનિંગની સુવિધા હશે, જેથી માત્ર QR કોડને સ્કેન કરી સરળ રીતે ઓળખની ચકાસણી થઈ શકશે
3: આધાર એપમાં હવે નીચે મુજબની અપડેટ કરી શકાશે, જેથી સમય અને સરકારી કચેરીના ધક્કા બચશે
-રહેઠાણ અપડેટ
-મોબાઈલ નંબર અપડેટ
-નામ તેમજ ઈમેઈલ અપડેટ(સંભવિત)


