મહારાષ્ટ્રમાં ભાજપનું ટેન્શન વધારશે ઠાકરે બ્રધર્સ? MNS સાથે ગઠબંધન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન
Uddhav Thackeray Big Statement : મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધનને લઈને ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવેલા સવાલ પર તેમણે જવાબ આપ્યો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે ગઠબંધન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'મહારાષ્ટ્રના દિલમાં જે હશે તે જ થશે. શિવસૈનિકોના દિલમાં કોઈ ભ્રમ નથી અને MNSના મનમાં પણ કોઈ મૂંઝવણ નથી. અમે કોઈ સંદેશ નહીં આપીએ, અમે સીધા સમાચાર આપીશું.' સમગ્ર મામલે મહારાષ્ટ્રમાં ભાજપનું ટેન્શન વધારશે ઠાકરે બ્રધર્સ? તેવા સવાલ ઊભા થાય છે.
ઉદ્વવ-રાજ ઠાકરે શું ઈચ્છે છે?
ઉદ્વવ ઠાકરેના નિવેદને સ્પષ્ટ કરી દીધુ છે કે, ઠાકરે પરિવાર હવે પોતાની તાકાત પરત મેળવવા માટે વાતચીત કરી રહ્યા છે. રાજ ઠાકરની પહેલ પર આ વાતચીત શરૂ થઈ છે. પરંતુ ઘણા સમયથી કોઈ સૂચના ન આવવાથી એવું લાગી રહ્યું હતું કે, ક્યાક કોઈ સમસ્યા હોઈ તેવુ લાગી રહ્યું છે. જોકે, ઉદ્વવ ઠાકરેના નિવેદનથી એવું સ્પષ્ટ થાય છે કે, બંને પક્ષોમાં સકારાત્મક વાતચીત ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં ભાજપનું ટેન્શન વધારશે ઠાકરે બ્રધર્સ?
તાજેતરમાં જાહેર કરાયેલા ભાજપના આંતરિક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ગઠબંધનથી ભાજપની ચૂંટણીની સંભાવનાઓને કોઈ અસર થશે નહીં. ભાજપે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પુણે અને થાણે સહિત અન્ય મુખ્ય મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુંબઈમાં ચૂંટણીની અટકળો વચ્ચે ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે વચ્ચેના જોડાણની અસરનું મૂલ્યાંકન કરવા માટે ભાજપે એક વિગતવાર સર્વે હાથ ધર્યો હતો.
ભાજપના પદાધિકારીએ 4 જૂને કહ્યું હતું કે, 'સર્વે પરથી ધ્યાને આવે છે કે, ત્રણ મુખ્ય પરિબળોને કારણે મુંબઈમાં ભાજપ મજબૂત સ્થિતિ જાળવી રાખશે. જેમાં પરંપરાગત મતદાતા આધારનો વિશ્વાસ, પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીનું નેતૃત્વ અને ગત રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનું મજબૂત પ્રદર્શનનો સમાવેશ થાય છે. પરંપરાગત મરાઠી મતદાતાના વિસ્તારોમાં પણ ભાજપનું સમર્થન સ્થિર છે. સર્વે પરથી ખ્યાલ આવે છે કે, ઠાકરે બ્રધર્સના ગઠબંધનથી પાર્ટીની બેઠકોની સંખ્યા પર કોઈ પ્રભાવ નહીં પડે.'
સર્વેમાં દાવો કરાયો હતો કે, વર્ષ 2022માં શિવસેનામાં વિભાજન બાદ મુંબઈમાં ઉદ્વવ ઠાકરેનો પ્રભાવ ઓછો થયો હતો, અને પાર્ટીના લગભગ અડધા નગરસેવકો એકનાથ શિંદેની સાથે ચાલ્યા ગયા હતા. જેમાં રાજ ઠાકરેનો પણ પ્રભાવ ઓછો થયો હોવાનું સામે આવ્યું છે.