Get The App

ચૂંટણી વેર કે વર્ચસ્વની જંગ? કોલકાતામાં TMC અને ભાજપ સમર્થકો વચ્ચે પથ્થરમારો-આગચંપી

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી વેર કે વર્ચસ્વની જંગ? કોલકાતામાં TMC અને ભાજપ સમર્થકો વચ્ચે પથ્થરમારો-આગચંપી 1 - image


TMC vs BJP Clash in Kolkata: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના દક્ષિણ-પશ્ચિમ સરહદી વિસ્તાર સખેરબજારમાં રવિવારે સાંજે શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સમર્થકો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. એક સ્થાનિક ક્લબ દ્વારા માઈક્રોફોનના ઉપયોગને લઈને શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસામાં ફેરવાઈ ગયો હતો.

વિવાદનું કારણ અને અથડામણ 

ભાજપે દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ જોરશોરથી ગીતો વગાડીને તેમની બેઠકમાં અવરોધ ઊભો કર્યો હતો અને કાર્યક્રમ સ્થળ પર પોતાની પાર્ટીના ઝંડા લગાવી દીધા હતા. આ પછી ભાજપના કાર્યકરોએ કથિત રીતે ટીએમસી નેતા સુધીપ પૌલીના કાર્યક્રમ સ્થળ પર તોડફોડ કરી હતી. જેના જવાબમાં ટીએમસી કાર્યકરોએ ભાજપનો મંચ તોડી પાડ્યો હતો.

આ પણ વાંચો: યુક્રેન-રશિયા યુદ્ધનો હવે આવશે અંત? ઝેલેન્સ્કીએ અમેરિકાનું નામ લઈ કર્યો મોટો દાવો

મંચને આગચંપી અને ફાયરબ્રિગેડની કાર્યવાહી

ઝઘડા દરમિયાન જનસભા માટે બનાવાયેલા ભાજપના મંચ પર કથિત રીતે આગ લગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબે બપોરે આ જ મંચ પરથી જનસભાને સંબોધિત કરી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. બેહાલા પુરબાના ટીએમસી ધારાસભ્ય રત્ના ચેટર્જીએ આક્ષેપ કર્યો હતો કે બેડમિન્ટન ટુર્નામેન્ટ દરમિયાન ભાજપના સમર્થકોએ ક્લબના સભ્યો સાથે ગેરવર્તન કર્યું હતું.

રાજકીય નિવેદનબાજી અને કાયદો-વ્યવસ્થા 

આ ઘટનાની નિંદા કરતા કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે આ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે ટીએમસીના અત્યાચારે તમામ હદ વટાવી દીધી છે. બીજી તરફ રત્ના ચેટર્જીએ ચેતવણી આપી હતી કે ભાજપ જેટલી આવી રીતો અપનાવશે, ટીએમસી પોતાનું વલણ એટલું જ કડક બનાવશે.

SIRના મુદ્દે TMCનું વિરોધ પ્રદર્શન 

આ હિંસા વચ્ચે, ટીએમસીએ રવિવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં રેલીઓ કાઢી હતી. પાર્ટીની માંગ છે કે રાજ્યમાં ચાલી રહેલા SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પછી જે મતદાર યાદી પ્રસિદ્ધ થાય તેમાં તમામ પાત્ર મતદારોના નામ સામેલ કરવામાં આવે. ચૂંટણી પંચે અગાઉ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિસંગતતા ધરાવતી યાદી વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે.