પૂંછમાં ભારતીય સેનાએ આતંકી ઠેકાણા કર્યા નષ્ટ, મોટા પ્રમાણમાં મળી આવ્યા હથિયારો
Images Sourse: IANS |
Jammu-Kashmir Terrorism: પહેલગામ હુમલા બાદ ભારતીય સેના અને પોલીસે આતંકી સામે કડક ઝુંબેશ શરુ કરી છે. ત્યારે જમ્મુ અને કાશ્મીરના પૂંછના સુરનકોટ તહસીલના બહેરામ ગલ્લાના ડેર વિસ્તારમાં પોલીસ અને સેના દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન એક આતંકી ઠેકાણું ખતમ કરાયું છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો.
આતંકીઓની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે
સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે આતંકી ઠેકાણામાંથી ત્રણ હેન્ડ ગ્રેનેડ, ગોળીઓ, ચાર્જ લીડ, લોખંડનો સળિયો, વાયર કટર, છરી, પેન્સિલ સેલ, લાઇટર અને ઘણી બધી સામગ્રી મળી આવી છે. આ વિસ્તારની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી અને આતંકીઓની ગતિવિધિઓ પર નજર રાખ્યા પછી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા દળોની સતર્કતા અને સખત મહેનતને કારણે આ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચો: પૂંછમાં ભારતીય સેનાએ આતંકી ઠેકાણાઓને કર્યા નષ્ટ, મોટી માત્રામાં મળી આવ્યા હથિયારો
પૂંછ જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સુરક્ષા દળો સતત પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ સફળતાથી આતંકીઓની યોજના નિષ્ફળ ગઈ છે એટલું જ નહીં સ્થાનિક લોકોમાં સુરક્ષા વિશ્વાસ પણ વધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા ઓપરેશન ચાલુ રહેશે જેથી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ સામે ખાસ ઝુંબેશ શરુ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીર રાજ્ય વહીવટીતંત્રે આતંકવાદીઓ અને અલગતાવાદીઓના ઈકોસિસ્ટમને સંપૂર્ણપણે ખતમ કરવા માટે આ ઝુંબેશ શરુ કરી છે. આ ઝુંબેશ હેઠળ, આતંકીઓ અને અલગતાવાદીઓની મિલકતો, ખાસ કરીને આતંકવાદી ભંડોળ દ્વારા મેળવેલી મિલકતો, જપ્ત કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી, JKLFના કુખ્યાત કમાન્ડરો ઉપરાંત, મોટી સંખ્યામાં માર્યા ગયેલા અને સક્રિય આતંકવાદીઓ અને તેમના ઓવરગ્રાઉન્ડ કાર્યકરોની મિલકતોનો આ ઝુંબેશમાં સમાવેશ થાય છે.