Get The App

'રાહુલ ગાંધી PM હોત તો PoK પાછું લઈ લીધું હોત..' તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
'રાહુલ ગાંધી PM હોત તો PoK પાછું લઈ લીધું હોત..' તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો 1 - image


Revanth Reddy Slams On BJP: તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પાકિસ્તાન સાથેના સંઘર્ષ બાદ કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલી વાહવાહી પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તેમણે હૈદરાબાદમાં 'જય હિંદ યાત્રા' પહેલાં એક જનસભાને સંબોધિત કરતાં ભાજપ પર આરોપ મૂક્યો હતો કે, ‘ભાજપ પાકિસ્તાન સાથેના સંઘર્ષનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. આ સંઘર્ષમાં પારદર્શકતા પણ નથી. ચાર દિવસના સંઘર્ષ પછી શું થયું, કોણે આત્મસમર્પણ કર્યું એ વિશે આપણે કંઈ જાણતા નથી.’

રેવંત રેડ્ડીએ યુદ્ધ વિરામના નિર્ણય પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક ન બોલાવવા બદલ પણ વડાપ્રધાન પર પ્રહાર કર્યા હતાં. તેમણે ક્હ્યું કે, 'સંઘર્ષ શરૂ કરતાં પહેલાં તમે સર્વપક્ષીય બેઠક બોલાવી, જ્યારે તમને અમારી જરૂર હતી, ત્યારે તમે અમને બોલાવ્યા, અમે સેના સાથે  જ છીએ, પરંતુ સંઘર્ષ સમાપ્ત થતાં અમને સામેલ ન કર્યાં. પાકિસ્તાને કેટલા રાફેલ નષ્ટ કર્યા, તેના વિશે કોઈ કઈ બોલી રહ્યું નથી. નાગરિકો અને રાજકીય પક્ષોની વારંવાર દરખાસ્ત છતાં કેન્દ્ર સરકાર POKને પાછું મેળવવામાં નિષ્ફળ રહી.'

રાહુલ PM હોત તો POK પાછું લઈ લેતાંઃ CM

આ દરમિયાન રેડ્ડીએ રાહુલ ગાંધીના વખાણ કરતાં કહ્યું કે, 'જો રાહુલ ગાંધી વડાપ્રધાન હોત તો તેઓ POK પાછું લઈને આવતાં. મોદી પ્રતિબંધિત 1000 રૂપિયાની નોટ જેવા છે. આપણને રાહુલ ગાંધી જેવા નેતાની જરૂર છે. મોદી આપણા માટે ક્યારેય યુદ્ધ જીતશે નહીં. માત્ર રાહુલ ગાંધી જ PM સ્વરૂપે યુદ્ધ લડી શકે છે. કોંગ્રેસે રાષ્ટ્ર સુરક્ષાના હિતમાં પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. વધુમાં તિરંગા રેલી પર પણ સવાલ ઉઠાવતાં રેડ્ડીએ કટાક્ષ કર્યો કે, શું ભાજપ દ્વારા યોજાઈ રહેલી તિરંગા રેલીઓ વાસ્તવમાં પહલગામ હુમલાના પીડિતો અને યુદ્ધમાં શહીદ સૈનિકોની યાદમાં યોજાઈ રહી છે?'

આ પણ વાંચોઃ 'આતંકીઓના મોત પર દુઃખ કેમ વ્યક્ત કર્યું...' શશિ થરૂરે કોલંબિયાને તેમના જ ઘરમાં સંભળાવ્યું

યુદ્ધ માત્ર ભાષણ આપવા માટે નથીઃ રેવંત રેડ્ડી

મોદી સરકારની પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વની સાથે તુલના કરતાં રેડ્ડીએ કહ્યું કે, 'યુદ્ધ માત્ર ભાષણ આપવા માટે નથી. તે સાહસ, સંકલ્પ અને વ્યૂહનીતિ વિશે છે. 1971ના યુદ્ધમાં જ્યારે અમેરિકા પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું હતું, ત્યારે ઈન્દિરા ગાંધી પોતાના નિર્ણયો પર અડગ રહ્યા અને ભારતે 1971નું યુદ્ધ જીત્યું. આ યુદ્ધમાં માત્ર વિજય જ નહીં, પણ તેમણે પાકિસ્તાનના ભાગલાં પાડી બાંગ્લાદેશનું નિર્માણ કર્યું હતું. પરંતુ આજે ચીને આપણી 4000 વર્ગ કિમી જમીન પર કબજો કરી લીધો છે. સૂર્યપેટના આપણા જવાન કર્નલ સુરેશ બાબૂ શહીદ થયા છે અને આપણા વડાપ્રધાન આ મામલે મૌન ધારણ કરીને બેઠા છે.

યુદ્ધનો મુદ્દો એક પક્ષનો નહીં, પણ દેશનો અને દેશવાસીઓનોઃ રેડ્ડી

ભાજપ સરકાર પર પ્રહાર કરતા રેડ્ડીએ કહ્યું કે, 'યુદ્ધનો મુદ્દો કોઈ એક પક્ષનો અંગત મામલો નથી. તે દેશ અને તેના દેશવાસીઓનો છે. 'જય હિંદ યાત્રા' સશસ્ત્ર દળોની એકતા દર્શાવે છે. તેમનું મનોબળ મોદી સરકારની કાર્યવાહીઓના કારણે તૂટ્યું છે. તમે હાલ રેલીઓમાં કોંગ્રેસની ટીકા કેમ કરી રહ્યા છો? 1967, 1971ની જીત માટે કે પછી હવે લોકો તમને સમર્થન આપે તેના માટે? ભારતના ખૂણે ખૂણે લોકો આજે પણ ઈન્દિરા ગાંધીને યાદ કરે છે. 1967માં ચીન સાથેના યુદ્ધમાં ચીનને પણ હંફાવ્યું હતું. હું ભાજપને સવાલ કરવા માગું છું કે, તમે લોકો શું કરી રહ્યા છો? તમે જે યુદ્ધ જાહેર કર્યું હતું, તેમાં પાકિસ્તાને આપણા દેશના 33 લોકોને મારી નાખ્યા. ત્યારે તમે શું કરી રહ્યા હતાં?'


'રાહુલ ગાંધી PM હોત તો PoK પાછું લઈ લીધું હોત..' તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો 2 - image

Tags :