'બેઇમાની જ કરવી હોય તો સરકારને એક્સટેન્શન આપી દો...' દિગ્ગજ નેતાની ચૂંટણી બહિષ્કારની ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bihar Assembly Elections: બિહારમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ચરમસીમાએ છે. ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીના SIR(સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની જાહેરાત કર્યા પછી, વિપક્ષી નેતાઓ ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે મતદાર યાદીમાં સુધારો લોકોના મત કાપવા માટે કરવામાં આવી રહ્યો છે. આ મામલે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે ફરી એકવાર ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કરી છે.
તેજસ્વી યાદવએ શું કહ્યું?
બિહારમાં SIR વિરુદ્ધ ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ફરી મતદાનનો બહિષ્કાર કરવાની વાત કરી છે. વિધાનસભા પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં તેજસ્વી યાદવે કહ્યું કે, 'લોકો ફરી કહી રહ્યા છે કે સરકાર છેતરપિંડીથી ચૂંટાઈ આવી છે અને ફરી આનું પુનરાવર્તન થવાની વાત કરી રહ્યા છે. SIRના નામે મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. લોકશાહીમાં જ્યારે જનતા જ મતદાન નહીં કરે ત્યારે ચૂંટણીનો શું મતલબ રહી જશે! આ લોકો ચંદીગઢ જેવું કંઈક કરવા માંગે છે. અમે અમારા પક્ષના નેતાઓ અને સાથી પક્ષો સાથે વાત કરીશું. જો તમારે ચૂંટણીમાં ધાંધલી જ કરવી હોય તો સરકારને એક્સટેન્શન આપો. અમારી પાસે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વિકલ્પ છે.'
અગાઉ પણ તેજસ્વી યાદવે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન SIR પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'ચૂંટણી પંચ લોકોની નાગરિકતા નક્કી કરવાનું કામ કરી રહ્યું છે, જે યોગ્ય નથી. આ ભારત સરકારનું કામ છે. જે આધારકાર્ડના આધારે મત આપવાની મંજૂરી આપવામાં આવે છે, તે જ આધારકાર્ડના આધારે મતદાન ચકાસણી થતી નથી. આ ચૂંટણી પંચની મનમાની છે.'








