| (IMAGE - IANS) |
Chaturangini Sena Sabha: વારાણસીના વિદ્યામઠ આશ્રમ ખાતે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સનાતન પ્રતીકોની રક્ષા અને હિન્દુ સમાજમાં સુરક્ષાનો ભાવ જગાડવા માટે 'ચતુરંગિણી સેના સભા'ની રચના કરવાની જાહેરાત કરી છે. શંકરાચાર્યના જણાવ્યા અનુસાર, સમાજમાં વ્યાપી ગયેલા ડરને દૂર કરવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ સંગઠન એક મજબૂત માળખું પૂરું પાડશે. આ પહેલ હેઠળ પ્રાથમિક તબક્કે 27 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, જે આગામી 10 મહિનામાં સંગઠનનું વિસ્તરણ, સભ્યોની ભરતી અને તાલીમ માટેનો સંપૂર્ણ રોડમેપ તૈયાર કરશે. શંકરાચાર્યએ આ તકે 'રોકો, ટોકો અને ઠોકો'નું સૂત્ર આપ્યું હતું, જેની સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું કે 'ઠોકો'નો અર્થ શારીરિક હિંસા નહીં, પણ અન્યાય કરનારાઓ સામે કાયદાકીય અને બંધારણીય કાર્યવાહી કરવાનો છે.
જાહેર સ્થળોએ થતાં ગુનાઓ પર શંકરાચાર્ય લાલઘૂમ
આ સેનાનું માળખું પ્રાચીન સૈન્ય વ્યવસ્થા પર આધારિત હશે, જેમાં 'પત્તી'ને સૌથી નાનું એકમ ગણીને લાખોની સંખ્યામાં સભ્યો ધરાવતી 'અક્ષયવર્ણી સેના' બનાવવાનું લાંબા ગાળાનું લક્ષ્ય છે. સભાના સભ્યોને પ્રતીકાત્મક રીતે અથવા આત્મરક્ષણ માટે 'પરશુ' (ફરસો) આપવાની વાત પણ સામે આવી છે. શંકરાચાર્યએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સરકાર નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ જાય, તો લોકોને આત્મરક્ષણનો અધિકાર મળવો જોઈએ. તેમણે મથુરામાં સંતની હત્યા અને ગૌરક્ષકો પર થતાં હુમલાઓનો ઉલ્લેખ કરી ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
મુસ્લિમ મંચની રચના સામે શંકરાચાર્યનો વૈચારિક વિરોધ
વૈચારિક દૃષ્ટિકોણ રજૂ કરતાં શંકરાચાર્યએ RSS દ્વારા મુસ્લિમ મંચની રચના કરવા સામે પણ પ્રશ્નો ઊભા કર્યા હતા અને પોતાની અલગ વિચારધારા સ્પષ્ટ કરી હતી. તેમણે 1971ના બાંગ્લાદેશ હિંસાના સંદર્ભમાં જણાવ્યું કે ગુનેગારો ભલે ગમે તે દેશ કે સંગઠનના હોય, તેમને શોધીને સજા મળવી જ જોઈએ. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ ધર્મ કે સમુદાય સામે આક્રમકતા ફેલાવવાનો નથી, પરંતુ હિન્દુ સમાજમાં આત્મવિશ્વાસ વધારવાનો અને જરૂરિયાતના સમયે તેમની સાથે ઊભા રહેવાનો છે.


