સોનિયા ગાંધીની મુશ્કેલી વધી : વંદેમાતરમ્ વિવાદ મામલે ગાજિયાબાદ કોર્ટમાં ફરિયાદ, સુનાવણીની તારીખ જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Congress Vande Mataram Song Controversy : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ 'વંદેમાતરમ્'ના ગીતમાં કથિત રીતે અવરોધ ઊભો કરવાના મામલે ગાજિયાબાદની કોર્ટમાં ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે કોર્ટે અરજી સ્વીકારી લીધી છે, જેના કારણે સોનિયા ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ગાજિયાબાદ કોર્ટમાં ફરિયાદ અને આગામી સુનાવણી
હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ગાજિયાબાદની ACJM-દ્વિતીય MP/MLA કોર્ટમાં સોનિયા ગાંધી (Sonia Gandhi) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, 15 ઑગસ્ટના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ગીત 'વંદેમાતરમ્'ના ગાનમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. આ સાથે જ કોર્ટ સમક્ષ 15 ઑગસ્ટના કાર્યક્રમનો વીડિયો પુરાવા તરીકે રજૂ કરવાની માગણી પણ કરવામાં આવી છે. કોર્ટે આ અરજી સ્વીકારીને કેસની આગામી સુનાવણી માટે 8 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.
શું છે સમગ્ર વિવાદ?
15 ઑગસ્ટના રોજ કોંગ્રેસ મુખ્યાલય ખાતે આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન 'વંદેમાતરમ્'નું ગીત ગવાઈ રહ્યું હતું. તે સમયે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) સાથે વાતચીત કરતા અને ઈશારો કરતા જોવા મળ્યા હતા. ભાજપે આક્ષેપ કર્યો હતો કે, તેમણે વંદેમાતરમ્ ગાનને અધવચ્ચે રોકવા માટે ઈશારો કર્યો હતો, જે રાષ્ટ્રીય ગીતનું અપમાન છે.
કોંગ્રેસ પક્ષનો ખુલાસો
ભાજપના આક્ષેપોને નકારી કાઢતાં કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે, સોનિયા ગાંધી ગીત અટકાવવા માટે નહીં, પરંતુ ઘણા સમયથી ઊભેલા ખડગે માટે ખુરશી મંગાવવાનો ઈશારો કરી રહ્યા હતા. આ મુદ્દે હાલ બંને પક્ષો વચ્ચે ભારે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે.









