'હા, હું મારા પતિ રાજાની હત્યામાં સામેલ હતી...', રડતાં રડતાં સોનમે આખરે ગુનો સ્વીકાર્યો
Sonam Raghuvanshi confesses to Involvement in Raja's Murder : ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં, પત્ની સોનમ રઘુવંશીએ હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી છે. સદર પોલીસ સ્ટેશનમાં SIT પૂછપરછ દરમિયાન સોનમે કબૂલ્યું કે, 'હું રાજાની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતી.'
સોનમે આખરે ગુનો સ્વીકાર્યો
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર શિલોંગ પોલીસે સોનમની પૂછપરછ શરુ કરી હતી. આ દરમિયાન રાજા રઘુવંશી હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ અને સોનમનો પ્રેમી રાજ કુશવાહ પણ હાજર હતો. જ્યારે શિલોંગ પોલીસે સોનમને રાજા વિશે પૂછ્યું તો તેણે પહેલાં તો પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ બાદમાં પોલીસ દ્વારા કડક પૂછપરછ કરાતાં તેણે રડતાં રડતાં કબૂલાત કરી કે, 'હા, હું રાજાની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતી.' આ સાથે, ખાસ વાત એ સામે આવી કે શિલોંગ પોલીસે સોનમ રઘુવંશીને તેના પ્રેમી રાજ કુશવાહ સાથે આમને-સામને મુલાકાત પણ કરાવી.
પોલીસ તપાસ ગેરમાર્ગે ભટકાવવા કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ
શિલોંગ પોલીસની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, સોનમ હનીમૂનના બહાને રાજાને મેઘાલયના શિલોંગ લઈ ગઈ હતી. ત્યારબાદ ફરવાના બહાને તે રાજાને સૂમસામ વિસ્તારમાં લઈ ગઈ અને હત્યારાઓને લોકેશન શેર કરી દીધું હતું. પોલીસને હત્યામાં વપરાયેલા હથિયાર ગુવાહાટી રેલવે સ્ટેશન પાસેથી મળ્યા હતા. હત્યા કર્યા બાદ સોનમે રાજાના ફોનમાંથી 'સાત જન્મોનો સાથ' લખીને એક પોસ્ટ કરી, જેથી પોલીસ તપાસ ગેરમાર્ગે દોરી શકાય.
રાજા રઘુવંશી હત્યા કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ
રાજા રઘુવંશી મર્ડર કેસમાં તેની પત્ની સોનમ, રાજ કુશવાહ (સોનમનો પ્રેમી) અને ત્રણ કોન્ટ્રાક્ટ કિલર આનંદ, આકાશ રાજપૂત અને વિશાલ ઉર્ફે વિકી ઠાકુરનો સમાવેશ થાય છે. સોનમની યુપીના ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુશવાહ અને વિશાલની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આકાશ રાજપૂતની મધ્યપ્રદેશના સાગરથી અને આનંદની યુપીના લલિતપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ...તો સોનમે આ કારણે પતિની હત્યા કરાવી? રાજા રઘુવંશીની માતાએ કર્યો સનસનીખેજ ઘટસ્ફોટ
રાજા હનીમૂન માટે ગયો હતો મેઘાલય
એવું કહેવાય છે કે, પોલીસને ઘટના સ્થળેથી કેટલાક ડિજિટલ પુરાવા, કોલ રૅકોર્ડસ અને વોટ્સએપ ચેટ પણ માળી આવ્યા છે, જે હત્યાના કાવતરાને સાબિત કરે છે.
નોંધનીય છે કે ઇન્દોરના રહેવાસી રાજા અને સોનમ રઘુવંશી હનીમૂન માટે મેઘાલય ગયા હતા. રાજાનું ત્યાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું, તપાસ કરતાં હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
મેઘાલય પોલીસે ઝડપી તપાસ કરતાં સોનમ અને તેના કથિત પ્રેમી રાજ કુશવાહાની ધરપકડ કર્યા બાદ પૂછપરછ શરુ થઈ. હવે સોનમની કબૂલાત બાદ આ કેસમાં નિર્ણાયક વળાંક આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં સમગ્ર ઘટનાની સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને કાવતરામાં સામેલ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.