...તો સોનમે આ કારણે પતિની હત્યા કરાવી? રાજા રઘુવંશીની માતાએ કર્યો સનસનીખેજ ઘટસ્ફોટ
Raja Raghuvanshi Murder Case: મધ્ય પ્રદેશમાં ઈન્દોરના રાજા રઘુવંશીની હત્યાને લઈને દરેકના મનમાં એક જ સવાલ છે કે સોનમે રાજાની હત્યા કેમ કરાવી? જો સોનમ પતિ રાજા સાથે રહેવા નથી માંગતી અને તેને પ્રેમી રાજ કુશવાહા સાથે રહેવું હતું, તો તે ઘર છોડી શકતી હતી. પરંતુ તેણે રાજાની હત્યા કરવાનું ષડયંત્ર કેમ રચ્યું? આ અંગે રાજાના માતા ઉમા રઘુવંશીએ ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે.
સોનમ પર મંગળ દોષ હતો: ઉમા રઘુવંશી
મૃતક રાજાની માતા ઉમા રઘુવંશીએ સોનમ આરોપ લગાવતા કહ્યું કે, 'સોનમનો પરિવાર તંત્ર-મંત્રમાં માને છે. તેના પર મંગળ દોષ હતો અને તેનાથી છુટકારો મેળવવા માટે તેણે રાજાનો બલી આપ્યો. મને સોનમે કહ્યું હતું કે કામાખ્યા દેવીના દર્શન કર્યા પછી જ લગ્નજીવન શરૂ કરશે.'
આ પણ વાંચો: 'હા, હું મારા પતિ રાજાની હત્યામાં સામેલ હતી...', રડતાં રડતાં સોનમે આખરે ગુનો સ્વીકાર્યો
રાજાની માતાએ કહ્યું કે, 'રાજાનો મૃતદેહ મળ્યા બાદ સોનમ ગુમ હતી. તેના પરિવારે એક તાંત્રિકનો સંપર્ક કર્યો અને તેની સલાહ પર પુત્રીનો ફોટો ઘરના દરવાજા પર ઊંધો લટકાવી દીધો, જેથી સોનમ વિશે કોઈ પગેરું મળી શકે. રાજા અને સોનમની સગાઈ ફેબ્રુઆરીમાં હતી. તે દરમિયાન સોનમના પરિવારના સભ્યોએ અમારા પર જલ્દી લગ્ન કરવા માટે દબાણ કર્યું. અમે જલ્દી લગ્ન કરવા માંગતા ન હતા, પરંતુ તેમણે પંડિતની સલાહ લીધા પછી લગ્નની તારીખ પણ નક્કી કરી દીધી હતી.'
રાજા હનીમૂન માટે મેઘાલય ગયો હતો
ઉલ્લેખનીય છે કે, ઈન્દોરના રહેવાસી રાજા રઘુવંશીએ હત્યાના 12 દિવસ પહેલા સોનમ સાથે લગ્ન કર્યા હતા. તે અને સોનમ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. ત્યારબાદ 23મી મેના રોજ રાજા મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં હતો, જ્યાંથી તે ગાયબ થઈ ગયો હતો. જે પછી બીજી જૂનના રોજ રાજાનો મૃતદેહ ખીણમાંથી મળી આવ્યો હતો.