'કોઈએ મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા કરવાની જરૂર નથી', કર્ણાટકના ડેપ્યુટી CMએ કોંગ્રેસ નેતાઓને આપી ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Congress Politics: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે રાજ્યમાં સત્તા પરિવર્તન અંગે નિવેદનો આપી રહેલા કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપી છે. શિવકુમારે કોંગ્રેસના નેતાઓને મુખ્યમંત્રી પદ અંગે કોઈપણ નિવેદન આપવાથી દૂર રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. ડીકે શિવકુમારનું આ નિવેદન પાર્ટીના એક ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી પદ માટે સમર્થન વ્યક્ત કર્યા બાદ આવ્યું છે.
મુખ્યમંત્રી પદ વિશે બોલનારાઓ સામે કાર્યવાહી કરવા સૂચન
નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે આવી ચર્ચાઓને બિનજરૂરી દર્શાવતાં કહ્યું કે, મુખ્યમંત્રી પદ અંગે ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે હાઇકમાન્ડના માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છીએ. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (કેપીસીસી)ના કાર્યકારી પ્રમુખ જીસી ચંદ્રશેખરને આ મુદ્દા પર બોલનારાઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું, અમારે ભાજપના નિવેદનો પર પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. તેમને જે કહેવું હોય તે કહેવા દો. મેં અમારા કાર્યકારી પ્રમુખ જીસી ચંદ્રશેખરને તેમને નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. પક્ષના કોઈપણ વ્યક્તિએ મુખ્યમંત્રી પદ સંબંધિત કંઈપણ નિવેદન આપવું જોઈએ નહીં.
ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની ઈચ્છા
કુનિગલના કોંગ્રેસ ધારાસભ્ય એચડી રંગનાથને બુધવારે કહ્યું હતું કે, મને આશા છે કે મારા 'રાજકીય ગુરુ' ડીકે શિવકુમાર એક દિવસ મુખ્યમંત્રી બનશે. તેઓ 'ઉભરતા સ્ટાર' અને 'અખિલ ભારતીય નેતા' છે. કોંગ્રેસની 2023ની વિધાનસભા જીતનો શ્રેય પણ શિવકુમારને શિરે છે. ડીકે શિવકુમારે ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માટે ખૂબ સારા પરિણામો લાવવામાં મદદ કરી. મેં બીજા કોઈ નેતાને પાર્ટી પ્રત્યે આટલી પ્રતિબદ્ધતા સાથે જોયા નથી.
સિદ્ધારમૈયાએ પોતાનો ઈરાદો જણાવ્યો
એચડી રંગનાથના નિવેદન પછી તરત જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ મુખ્યમંત્રી પદ સંભાળવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ મુખ્યમંત્રી તરીકેનો તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથે અનેક રાઉન્ડની ચર્ચાઓ થઈ હતી. અંતે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તે સમયે શિવકુમાર સાથે મુખ્યમંત્રી પદ માટે રોટેશનલ ગોઠવણીના અહેવાલો આવ્યા હતા. જોકે, કોંગ્રેસ હાઈકમાન્ડે ક્યારેય આ વાતની ખાતરી આપી ન હતી. તાજેતરના મહિનાઓમાં, સિદ્ધારમૈયા અને વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે, આવી કોઈ સમજૂતી અસ્તિત્વમાં નથી.









