કપડાં રંગવા વપરાતું કેમિકલ ચણા પર... લોકોને કેન્સરનો ખતરો: સાંસદનો કેન્દ્ર સરકારને પત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - ENVATO) |
Auramine Dye In Roasted Chana: દેશમાં શેકેલા ચણાની ચમક વધારવા માટે ઝેરી કેમિકલના ઉપયોગનો ગંભીર મામલો સામે આવતાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બાબતે રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને ભારતના કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાનને પત્ર લખ્યો છે. સાંસદે આ ગંભીર ખતરા પર તાત્કાલિક તપાસ અને સખત કાર્યવાહીની માંગણી કરી છે.
ચણામાં ઓરામાઇન નામક ઝેરી ડાઇના ઉપયોગ ખુલાસો
શિવસેના(UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એક રિપોર્ટનો હવાલો આપીને પોતાના પત્રમાં જણાવ્યું કે, 'તાજેતરના પુરાવાઓ મુજબ કપડાં અને ચામડા રંગવા માટે વપરાતી 'ઓરામાઇન' નામની ઔદ્યોગિક ડાઇ શેકેલા ચણાની ચમક વધારવા માટે ગેરકાયદેસર રીતે ભેળવવામાં આવી રહી છે.'
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, 'આ પ્રવૃત્તિ માત્ર ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન જ નથી કરતી, પરંતુ તે લાખો ભારતીય નાગરિકોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને વિશ્વાસ માટે મોટો ખતરો છે, જે FSSAIની નિયમનકારી દેખરેખની નિષ્ફળતા સ્પષ્ટપણે દર્શાવે છે.'
ઓરામાઇન: પ્રતિબંધ છતાં જોખમી ભેળસેળ
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, 2006(FSSAI) દ્વારા ઓરામાઇન ડાઇ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની કેન્સર સંશોધન એજન્સીએ પણ તેને કેન્સર પેદા કરી શકે તેવો સંભવિત પદાર્થ ગણાવ્યો છે. આ કેમિકલ લીવર, કિડની અને મૂત્રાશયના કેન્સર ઉપરાંત મગજ અને ચેતાતંત્રને પણ નુકસાન પહોંચાડી શકે છે.
સાંસદે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, આટલા ગંભીર જોખમો અને કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં, આ ભેળસેળની પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલુ છે. તેનું મુખ્ય કારણ બજાર પર નબળી દેખરેખ, નિયમિત ટેસ્ટિંગનો અભાવ, જાહેર જનતાને ચેતવણી આપવામાં વિલંબ અને કાયદાના અમલની ખામીભરી રીત છે. પાલનની તપાસ પણ પૂરતી નથી અને આ ભૂલો માટે કોઈની જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. પરિણામે, આ ખામીઓના કારણે આ જોખમી અને ગેરકાયદેસર પ્રથા કોઈપણ તપાસ કે પરિણામ વિના ચાલુ રહી છે.
FSSAIની ભૂમિકા અને તાત્કાલિક પગલાંની માંગ
પ્રિયંકા ચતુર્વેદીએ ખાદ્ય સુરક્ષા નિયામક FSSAIની દેખરેખ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, 'શેકેલા ચણામાં થયેલી આ ભેળસેળની ઘટના FSSAIની નિયમનકારી દેખરેખમાં મોટી નિષ્ફળતા દર્શાવે છે.'
આ પણ વાંચો: ‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ
સાંસદે ભૂતકાળમાં ભેળસેળયુક્ત 'કફ સિરપ'ને કારણે થયેલા મૃત્યુનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકારને લોકોના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. તેમણે માંગણી કરી છે કે આ સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને દોષિતો સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે.
ઓરામાઇન શું છે?
ઓરામાઇન એક ઔદ્યોગિક ડાઇ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કપડાં અને ચામડા(લેધર)ને રંગવા માટે થાય છે. તે માનવ વપરાશ માટે અત્યંત હાનિકારક છે.








