India

‘ભારત શું કરશે, તે તમારે કહેવાની જરૂર નથી’ ટ્રમ્પના દાવા પર શશિ થરૂર ભડક્યા

By GS TEAM
23 Oct 20252 mins read
TukuTouch Logo
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર સખત વાંધો ઉઠાવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે.’ ત્યારે આ મામલે થરૂરે ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ભારત શું કરશે, તે તમારે કહેવાની જરૂર નથી’ ટ્રમ્પના દાવા પર શશિ થરૂર ભડક્યા

Shashi Tharoor Slams Donald Trump : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર સખત વાંધો ઉઠાવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે.’ ત્યારે આ મામલે થરૂરે ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારત તેના નિર્ણયો પોતે જ કરશે : થરૂર

સાંસદ થરૂરે (Shashi Tharoor) સ્પષ્ટ કહ્યું કે, ‘મને નથી લાગતું કે, મિસ્ટર ટ્રમ્પ દ્વારા ભારતના નિર્ણયોની જાહેરાત કરવી યોગ્ય છે. ભારત તેના નિર્ણયો પોતે જ કરશે અને પોતે જ દુનિયાને જણાવશે. અમે દુનિયાને કહેતા નથી કે, મિસ્ટર ટ્રમ્પ શું કરશે, તેથી ટ્રમ્પે પણ ન બોલવું જોઈએ કે ભારત શું કરશે.’ 

ટ્રમ્પ-મોદી વચ્ચે થઈ હતી ટેલિફોનિક વાતચીત

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વચ્ચે મંગળવારે (21 ઓક્ટોબર) ફોન પર વાતચીત થઈ હતી. રિપોર્ટ મુજબ બંને નેતાઓએ વ્યાપારી મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. થોડા મહિના પહેલા જ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ ઝિંક્યો હતો. ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી અને રશિયા તે ક્રૂડ ઓઈલના નાણા યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરતું હોવાથી ટ્રમ્પ નારાજ હતા, જેના કારણે તેમણે ભારત પર મસમોટો ટેરિફ ઝિંકેલો છે.

આ પણ વાંચો : બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી

ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી : ટ્રમ્પનો દાવો

વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ ટ્રમ્પે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, ‘મેં વડાપ્રધાન મોદી સાથે વાત કરી. અમારા વચ્ચે ખૂબ સારા સંબંધો છે. તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદે. તેઓ (મોદી) ઈચ્છે છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થાય અને હું પણ એવું ઈચ્છું છું. તેમણે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી દીધી છે અને હજુ પણ ઘટાડી રહ્યા છે.’

આ પણ વાંચો : નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રક્રિયા શરૂ, જસ્ટિસ સૂર્ય કાંતનું નામ મોખરે