કાકા-ભત્રીજા એક થવાની અટકળો વચ્ચે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- ‘ભાજપમાં ગયેલા તકવાદીઓ માટે NCPમાં કોઈ જગ્યા નથી’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra Political News : મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટી NCP(SP) અને અજિત પવારની પાર્ટી NCP એક થવાની અટકળો ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી અનેક કાર્યક્રમમાં કાકા-ભત્રીજા સાથે જોવા મળ્યા છે, ત્યારે શરદ પવારે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હોય તેવું નિવેદન આપ્યું છે. તેમણે પિંપરી ચિંચવડમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેમણે ભાજપમાં ગયેલા લોકોને તકવાદી ગણાવ્યા છે અને આવા લોકો માટે એનસીપીમાં કોઈ જગ્યા ન હોવાનું પણ સ્પષ્ટ કહ્યું છે.
કાર્યકર્તાઓને ચૂંટણીઓ માટે તૈયાર રહેવા આહ્વાન
શરદ પવારે (Sharad Pawar) કાર્યકર્તાઓને મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે તૈયાર રહેવાનું આહ્વાન કહ્યું છે. આ સાથે તેમણે કહ્યું છે કે, ‘અમે તમામને સાથે રાખીને આગળ વધવામાં વિશ્વાસ કરીએ છીએ, પરંતુ જે તકવાદીઓ ભાજપમાં જતા રહ્યા છે, આવા લોકો સામે અમે ન ચાલી શકીએ. જે લોકો ગાંધી, નેહરુ, ફૂલે, શાહૂ અને આંબેડકરના વિચારો ધરાવે છે, જે લોકો તેમના મૂલ્યો અને વિચારધારાની સાથે છે, તેઓને પાર્ટીમાં સંપૂર્ણ સન્માન અપાશે.’
ચૂંટણીની ચિંતા ન કરો : શરદ પવાર
તેમણે કાર્યકર્તાઓને ખાતરી આપતાં કહ્યું કે, જો કોઈ તેમના વિચારો સાથે જોડાઈ પાર્ટીમાં આવે છે, તો વરિષ્ઠ નેતા તેમના યોગદાન પર વિચાર કરશે. ચૂંટણીની ચિંતા ન કરો, જે અમારી સાથે આવશે અને અમારા વિચાર સાથે જોડાયેલા રહેશે, તેમને સંપૂર્ણ તક અપાશે. હું આપને ખાતરીપૂર્વક કહું છું કે, તમારે મ્યુનિસિપલ ચૂંટણીમાં કોઈપણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી.’
અગાઉ અજિત પવારે શરદ પવાર પાસે બેસવાનું ટાળ્યું હતું
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં શરદ પવાર અને અજિત પવાર(Ajit Pawar)ની પાર્ટી એક થવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આમ તો થોડા દિવસ પહેલા જ એક કાર્યક્રમમાં અજિત પવારે શરદ પવાર પાસે બેસવાનું ટાળ્યું હતું, જેના કારણે બંને પાર્ટી એક ન થવાના સંકેત મળી ગયા હતા. હવે શરદ પવારે તકવાદીઓને પાર્ટીમાં ન લેવાનું કહી બંને પાર્ટીઓ એક થવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.









