કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી વચ્ચે તિરાડ ! મસૂદના નિવેદન બાદ અખિલેશે કહ્યું, ‘ગઠબંધનમાંથી જેને જવું હોય તે જાય...’
Uttar Pradesh Political News : વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા અત્યારથી જ રાજકીય પક્ષોમાં નિવેદનબાજી શરુ થઈ ગઈ છે. યુપી કોંગ્રેસના સાંસદ સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કરી રહ્યા છે, જેના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ(Akhilesh Yadav)ની પાર્ટીઓ વચ્ચે તિરાડ પડી હોવાની અટકળો શરુ થઈ છે. આ ઘટનામાં હવે અખિલેશ યાદવની એન્ટ્રી થઈ ગઈ છે અને તેમણે ઇન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દીધો છે.
કોંગ્રેસ સાંસદો શું કહ્યું હતું?
વાસ્તવમાં સહારનપુરના કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદ (Imran Masood) સપા પર સતત પ્રહારો કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં કોઈના આધારની જરૂર નથી. સમાજવાદી પાર્ટીમાં મુસ્લિમ નેતૃત્વને ખતમ કરવામાં આવી રહ્યું છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘વિધાનસભા ચૂંટણીમાં 80-17 બેઠકોનો ફોર્મ્યુલા નહીં ચાલે. ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડવાથી કોંગ્રેસને 80માંથી 17 બેઠકો મળી હતી.’ મસૂદે દાવો કર્યો છે કે, કોંગ્રેસ 200 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહી છે. મસૂદના નિવેદન બાદ કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી (Congress And Samajwadi Party) વચ્ચે તિરાડ પડી હોવાની અટકળો વહેતી થતાં અખિલેશ યાદવે જવાબ આપ્યો છે.
અખિલેશે મસૂદના નિવેદનનો આપ્યો જવાબ
અખિલેશ યાદવે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને મસૂદના નિવેદન પર જવાબ આપવાની સાથે ભાજપ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે મસૂદના નિવેદન પર કહ્યું કે, ‘અમને કોઈના નિવેદન સાથે કોઈ લેવાદેવા નથી. ઇન્ડિયા ગઠબંધન સાથે ચૂંટણી લડશે, ગઠબંધનમાંથી જેને જવું હોય તે જાય. પીડીએ ગઠબંધન ઈમોશનલ ગઠબંધન છે, જેઓ પીડિત છે, તેઓ પીડીએ છે.’ આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં વીજળી મોંઘી થવાની છે, વીજળી એટલી મોંઘી થશે કે, ઘણા લોકો પોતાનો મોબાઇલ પણ ચાર્જ નહીં કરી શકે.’
ઉલ્લેખનીય છે કે, અખિલેશે અગાઉ લખનઉમાં સમાજવાદી પાર્ટીની બેઠકમાં કહ્યું હતું કે, ‘સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ 2027ની વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે.