બિહારમાં મહાગઠબંધન વચ્ચે બેઠક વહેંચણીની ફોર્મ્યૂલા ફાઈનલ! જાણો કોંગ્રેસના ફાળે કેટલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bihar Election: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મહાગઠબંધનમાં સામેલ મુખ્ય પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણી પર વાતચીત લગભગ છેલ્લાં તબક્કામાં પહોંચી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોંગ્રેસ જ્યાં 2020ની જેમ 70 બેઠકો માંગી રહી છે, ત્યાં આરજેડી તેને 50-55થી વધુ બેઠક આપવા નથી ઈચ્છતી. જોકે, 58-60 બેઠકો પર સંમતિ બની શકે તેવી સંભાવના છે.
2020માં શું હતી સ્થિતિ?
નોંધનીય છે કે, બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે. વર્ષ 2020ની ચૂંટણીમાં મહાગઠબંધનમાં આરજેડીને 144, કોંગ્રેસ 70 અને ડાબેરી પાર્ટી સીપીઆઈ (એમએલ), સીપીઆઈ અને સીપીએમને આશરે 19, 6 અને 4 બેઠકો પર ચૂંટણી લડી. આરજેડી 144 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ ખૂબ ખરાબ હતો. સીપીઆઈ (એમએલ)એ 19માંથી 12 બેઠકો જીતીને સૌથી સારો સ્ટ્રાઇક રેટ નોંધાવ્યો હતો.
કોંગ્રેસને કરવો પડશે ત્યાગ?
આરજેડીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાર્ટી આ વખતે 135-140 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, 'અમે કોંગ્રેસને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, આ વખતે વધુ સહયોગીને સાથે લેવાના છે. તેથી થોડો ત્યાગ કરવો પડશે.'
કોને, કેટલી બેઠક મળશે?
મહાગઠબંધનમાં આ વખતે મુકેશ સહનીની વીઆઈપી (વિકાસશીલ ઇન્સાન પાર્ટી) અને પશુપતિ કુમાર પારસની એલજીપીને પણ જોડ્યું હતું. સહની 60 બેઠકોની માંગ કરે છે, પરંતુ તેને વધુમાં વધુ 12 મળી શકે તેવા વાવડ મળ્યા છે. પારસને પણ 2-3 બેઠક મળી શકે છે.
ડાબેરી પાર્ટીઓની વધી માંગ
સીપીઆઈ (એમએલ) અને અન્ય ડાબેરીઓ પણ પોતાની ભાગીદારી વધારવાની માંગ કરી રહ્યા છે. સરહદી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં તેમની ભૂમિકા મહત્ત્વની માનવામાં આવે છે. જણાવી દઈએ કે, ડાબેરી પાર્ટીઓએ 2020માં ખૂબ સારો દેખાવ કરીને 2024 લોકસભામાં બે બેઠક હાંસલ કરી હતી.
AIMIM ને લઈને કડક વલણ
મહાગઠબંધનમાં AIMIM ને સામેલ કરવામાં નહીં આવે, એ નક્કી છે. આરજેડી નેતાઓએ સ્પષ્ટ કર્યું કે, અસુદુદ્દીન ઓવૈસીની પાર્ટીની ધાર્મિક ધ્રુવીકરણની છબી ગઠબંધનને રાજ્યના અન્ય ભાગોમાં નુકસાન પહોંચાડી શકે છે.









