શું સચિન પાયલોટ પણ સિંધિયાવાળી કરવાના મૂડમાં?
Updated: Jul 12th, 2020
જયપુર, તા.12 જુલાઇ 2020, રવિવાર
રાજ્યસભાની ચૂંટણી પછી રાજસ્થાનમાં શરુ થયેલી રાજકીય ઉથલ પાથલ હજી પણ યથાવત છે.
ભાજપ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ગબડાવવ માટે પ્રયત્નો કરી રહ્યુ હોવાના મુખ્યમંત્રી અશોક ગહેલોટના આક્ષેપો વચ્ચે આજે ગહેલોટ પક્ષના તમામ ધારાસભ્યોને મળવાના છે અને ધારાસભ્યો નવેસરથી તેમને સમર્થનનો પત્ર આપશે.
દરમિયાન રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલોટને લઈને અટકળો તેજ બની રહી છે. સચિન પાયલોટ અને બીજા 10 મંત્રીઓ શુક્રવારથી દિલ્હીમાં છે. સચિન પાયલોટ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને પણ મળ્યા છે. જોકે પાયલોટ દિલ્હીમાં કોઈની સાથે વાત રહી રહ્યા નથી. સૂત્રોનુ કહેવુ છે કે, પાયલોટ દિલ્હીમાં હોય તો પણ તેમના નિવાસ સ્થાને નથી રોકાયા.
જોકે આ ઘટનાક્રમ વચ્ચે રહસ્ય એ વાતનુ છે કે, રાજ્સ્થાન કોંગ્રેસમાં કયા મુદ્દે વિખવાદો ચાલી રહ્યા છે. શું સચિન પાયલોટ પણ નારાજ હોવાથી મધ્યપ્રદેશમાં જયોતિરાદિત્ય સિંધિયાએ જે રીતે છેડો ફાડ્યો તે રીતે કોંગ્રેસતી છેડો ફાડવાના મૂડમાં છે...જો આવુ થયુ તો રાજસ્થાનમાં ભાજપની સરકાર બની શખે છે.
વાત એવી છે કે, સચિન પાયલોટ છ વર્ષથી રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ છે અને તેમના સમર્થકો તેમને અધ્યક્ષપદે ચાલુ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. સચિન પાયલોટની પણ આવી જ ઈચ્છા છે. બીજી તરફ અન્ય જૂથ બીજા ઉમેદવારોના નામ આગળ ધરી રહ્યા છે.
જોકે રાજસ્થાનમાં કોંગ્રેસની સ્થિતિ મધ્યપ્રદેશ જેવી નથી. રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે 107 ધારાસભ્યો અને ભાજપ પાસે 72 ધારાસભ્યોનુ સંખ્યાબંળ છે. જ્યારે વિધાનસભામાં કુલ 200 બેઠકો છે. આમ કોંગ્રેસ પાસે બહુમતિ કરતા વધારે સીટો હાલમાં છે. આ સંજોગોમાં ભાજપ માટે રાજસ્થાનમાં રસ્તો આસાન નથી.