ખેડૂતોના આંદોલનને કારણે ટ્રાફિક જામ પર સુપ્રીમનું કડક વલણ, CJIએ વકીલોને કહ્યું- અમે જોઈ લઈશું
ટ્રાફિક સમસ્યા અંગે બાર એસોસિએશનના પ્રમુખ અદિશ અગ્રવાલે ચીફ જસ્ટીસને પત્ર લખ્યો હતો
Updated: Feb 13th, 2024
Farmers Protest : ટેકાના ભાવ માટે કાયદો ઘડવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે. આ કારણે દિલ્હી-એનસીઆરમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે ત્યારે ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડે આ સમસ્યા પર મોટી ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટીસે કહ્યું છે કે જો વકીલોને આવવા જવામાં કોઈ સમસ્યા થાય તો મને જણાવશો, અમે જોઈ લઈશું.
બાર એસોસિએશનના પ્રમુખે ચીફ જસ્ટીસને પત્ર લખ્યો હતો
અગાઉ બાર એસોસિએશનના પ્રમુખ અદિશ અગ્રવાલે ચીફ જસ્ટીસને પત્ર લખીને કહ્યું હતું કે ખેડૂતોના આ આંદોલન સામે સુઓમોટો અરજી દાખલ કરવી જોઈએ. આનાથી સામાન્ય લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત આદિશ અગ્રવાલે વિનંતી કરી હતી કે જો વકીલો ટ્રાફિકની સમસ્યાને કારણે કોર્ટમાં સમયસર હાજર ન થઈ શકે તો કોઈપણ સંજોગોમાં નિર્ણય આપવો જોઈએ નહીં. આના પર ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે 'જો વકીલોને આવવા-જવા પર કોઈ સમસ્યા થાય તો મને જણાવશો, અમે તેને જોઈ લઈશું.' ઉલ્લેખનીય છે કે બાર તેના પત્રમાં ખેડૂતોને તોફાની ગણાવીને ટ્રાફિક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આંદોલનને પગલે અનેક રૂટ બંધ કરાયા
ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીની સરહદોને સીલ કરી દેવામાં આવી છે જ્યારે અનેક રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ કેટલાક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પંજાબમાં ચંદીગઢ-દિલ્હી હાઈવે પણ સીલ કરી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં લોકોને અવર-જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીની બોર્ડર પર પણ લાંબો ટ્રાફિક જામ છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ સરકાર સાથે વાતચીત કર્યા પછી પણ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે અને ફતેહગઢ સાહિબથી દિલ્હી સુધી કૂચ કરી છે.
પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં હરિયાણા સરકાર વિરુદ્ધ અરજી
ખેડૂતોની કૂચને કારણે હરિયાણા સરકારે કલમ 144 લાગુ કરી દીધી છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. હરિયાણા સરકારના નિર્ણય વિરુદ્ધ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના આંદોલન સામે હરિયાણા સરકાર અને કેન્દ્રના તમામ નિર્ણયો રદ કરવામાં આવે.