120 કરોડની જ્વેલરી અને 50 કરોડના સોનાનો દાવો કરવો પત્નીને ભારે પડ્યો : કોર્ટે લીધો આકરો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court Divorce Case : સુપ્રીમ કોર્ટે ‘ઘરેલું હિંસા’ના કેસમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ અનોખા કેસમાં સમજૂતી કરનારી પત્નીએ પતિ પર ફરી કેસ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેણીએ કેસ કરીને 120 કરોડ જ્વેલરી અને 50 કરોડના સોના પર દાવો કર્યો છે. સુપ્રીમ કોર્ટે મહિલાની આકરી ઝાટકણી કાઢતા કહ્યું છે કે, પહેલાં જ પરસ્પર સંમતિથી તમામ વિવાદોનો નિકાલ થઈ ગયો છે, તેથી હવે તેમાંથી કોઈપણ પક્ષ પાછળ ન હટી શકે.
સમજૂતી કર્યા બાદ પત્ની ફરી ગઈ, સુપ્રીમ કોર્ટ નારાજ
પતિ-પત્નીના લગ્ન વર્ષ 2000માં થયા હતા અને 2023માં પતિએ છૂટાછેડાની અરજી કરી હતી. ફેમિલી કોર્ટે આ મામલો મધ્યસ્થતા માટે મોકલ્યો હતો જ્યાં બંને પક્ષોએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા અને તમામ વિવાદો ખતમ કરવા માટે કરાર કર્યો હતો. કરાર મુજબ પતિએ પત્નીને દોઢ કરોડ રૂપિયા અને કાર માટે 14 લાખ રૂપિયા તેમજ કેટલીક જ્વેલરી આપવાનું નક્કી કર્યું હતું. પતિએ કરારના ભાગરૂપે 75 લાખ અને 14 લાખ રૂપિયા ચૂકવી પણ દીધા હતા. જોકે અંતિમ સમયે પત્ની પોતાની સંમતિથી ફરી ગઈ અને પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કરી દીધો હતો.
આ પણ વાંચો : AAP સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી, રાઘવ ચઢ્ઢાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા
પતિ નાણાં આપ્યા છતાં 170 કરોડનો દાવો કર્યો
પત્નીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, લેખિત કરાર સિવાય પતિએ તેને 120 કરોડની જ્વેલરી અને 50 કરોડના સોનાના બિસ્કિટ આપવાનું વચન આપ્યું હતું જે ટેક્સ બચાવવા માટે ક્યાંય લખવામાં આવ્યું નહોતું. જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ વિજય વિશ્નોઈની બેંચે આ દલીલ સામે સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આવી પાયાવિહોણી દલીલો ન્યાય પ્રણાલી પ્રત્યે ગંભીર અનાદર સમાન છે. કોર્ટે જોયું કે લગ્ન જીવન સંપૂર્ણપણે તૂટી ગયું છે તેથી બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરી લગ્ન વિચ્છેદનો આદેશ આપ્યો હતો.
મહિલાના વલણથી સુપ્રીમ કોર્ટ નારાજ
કોર્ટે વધુમાં જણાવ્યું કે, કાયદા મુજબ સંમતિ પાછી ખેંચી શકાય છે પરંતુ એકવાર મધ્યસ્થતામાં સંપૂર્ણ અને અંતિમ સમજૂતી થઈ ગયા પછી તેમાંથી ફરી જવું યોગ્ય નથી. જો યોગ્ય કારણ વગર કોઈ પક્ષ પાછળ હટે તો તેના પર ભારે દંડ થવો જોઈએ. લગ્નના 23 વર્ષ પછી પ્રથમ વખત ઘરેલું હિંસાનો કેસ કરવામાં આવ્યો હતો જેને કોર્ટે જાણીજોઈને વિવાદ ચાલુ રાખવા માટે કરાયેલો કેસ ગણાવ્યો અને તેને રદ કરી દીધો હતો. કોર્ટે પતિને કરાર મુજબની બાકીની રકમ ચૂકવવાનો આદેશ આપી આ વિવાદનો અંત લાવી દીધો છે.
આ પણ વાંચો : '24 કલાકમાં પોસ્ટરથી ગુમ...' નીતિશ કુમારના રાજીનામા પર રોહિણી આચાર્યનો કટાક્ષ









