પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની હાલત ગંભીર, ફરી ICUમાં કરાયા દાખલ, સરકારને જાણો શું કરી વિનંતી
Satyapal Malik: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને ફરીથી ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ખૂબ જ ગંભીર બની રહી હોવાનું તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાણવા મળ્યું છે. તેમજ તેમણે સરકાર પર તેમને ફસાવવાના બહાના શોધી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
સત્યપાલ મલિક કિડનીની સમસ્યાથી પીડિત
સત્યપાલ મલિકે X પર આ અંગે લખ્યું છે કે, 'હું છેલ્લા લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ છું અને કિડનીની સમસ્યાથી પીડિત છું. બે દિવસ પહેલા સવારથી હું ઠીક હતો, પરંતુ આજે ફરીથી મને ICU માં શિફ્ટ કરવામાં આવ્યો છે. મારી હાલત ખૂબ જ ગંભીર બની રહી છે.'
नमस्कार साथियों।
— Satyapal Malik (@SatyapalMalik6) June 7, 2025
मैं पिछले लगभग एक महीने के करीब से हस्पताल में भर्ती हूं और किड़नी की समस्या से जूझ रहा हूं।
परसों सुबह से मैं ठीक था लेकिन आज फिर से मुझे ICU में शिफ्ट करना पड़ा। मेरी हालत बहुत गंभीर होती जा रही है।
मैं रहूं या ना रहूं इसलिए अपने देशवासियों को सच्चाई बताना…
રાજ્યપાલના પદ પર હતો ત્યારે લાંચની ઓફર પણ થઈ હતી: સત્યપાલ મલિક
સત્યપાલ મલિકે વધુમાં કહ્યું કે, 'હું રહું કે ન રહું, તેથી મારા દેશવાસીઓને સચ્ચાઈ કહેવા માંગુ છું કે જ્યારે હું રાજ્યપાલના પદ પર હતો ત્યારે મને ₹150 કરોડની લાંચની ઓફર પણ થઈ હતી, પરંતુ હું મારા રાજકીય ગુરુ, ખેડૂતના મસીહા સ્વર્ગસ્થ ચૌધરી ચરણસિંહજીની જેમ ઈમાનદારીથી કામ કરતો રહ્યો અને તેઓ ક્યારેય મારી ઈમાનદારી ડગાવી શક્યા નહીં.'
પૂર્વ રાજ્યપાલે લખ્યું, 'જ્યારે હું રાજ્યપાલ હતો ત્યારે ખેડૂત આંદોલન પણ ચાલી રહ્યું હતું. મેં કોઈ રાજકીય લોભ-લાલચ વગર પદ પર રહીને ખેડૂતોની માંગણીઓ ઉઠાવી. પછી મહિલા પહેલવાનોના આંદોલનમાં જંતર-મંતરથી લઈને ઈન્ડિયા ગેટ સુધી તેમની દરેક લડાઈમાં હું તેમની સાથે રહ્યો. પુલવામા હુમલામાં શહીદ વીર જવાનોનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેની આ સરકાર દ્વારા આજ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી.'
સરકાર પર લગાવ્યા આરોપ
સત્યપાલ મલિકે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, 'સરકાર મને CBI નો ડર બતાવીને ખોટી ચાર્જશીટમાં ફસાવવાના બહાના શોધી રહી છે. જે કેસમાં મને ફસાવવા માંગે છે, તે ટેન્ડર મેં પોતે રદ કર્યું હતું. મેં પોતે વડાપ્રધાનજીને જણાવ્યું હતું કે આ મામલામાં ભ્રષ્ટાચાર છે અને તેમને જણાવ્યા પછી મેં પોતે તે ટેન્ડર રદ કર્યું. મારી બદલી થયા પછી, અન્ય કોઈની સહીથી આ ટેન્ડર મંજૂર થયું. હું સરકાર અને સરકારી એજન્સીઓને કહેવા માંગુ છું કે હું ખેડૂત કોમનો છું. હું ન તો ડરવાનો છું કે ન તો ઝૂકવાનો છું.'
આ અંગે વધુમાં તેમણે લખ્યું કે, 'સરકારે મને બદનામ કરવામાં પૂરી તાકાત લગાવી દીધી. અંતે, મારી સરકાર અને સરકારી એજન્સીઓને વિનંતી છે કે મારા દેશની જનતાને સચ્ચાઈ ચોક્કસ કહેજો કે તમને તપાસમાં મારી પાસેથી શું મળ્યું? જોકે, સચ્ચાઈ તો એ છે કે 50 વર્ષથી વધુ લાંબા રાજકીય જીવનમાં ખૂબ મોટા-મોટા પદો પર દેશસેવા કરવાનો મોકો મળ્યા પછી આજે પણ હું એક જ રૂમના મકાનમાં રહું છું અને દેવામાં પણ છું. જો આજે મારી પાસે ધન-દોલત હોત તો હું પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવતો હોત.'