'ખાલિસ્તાન' શબ્દના જનક એક ડૉક્ટર હતા, મૂળ શબ્દ અલગ શીખ દેશ માટે નહીં પણ પાકિસ્તાનના વિરોધમાંથી જન્મ્યો હતો
Khalisthan : પંજાબમાં છઠ્ઠી જૂને ઓપરેશન બ્લુ સ્ટારની 41મી વરસીની ઉજવણી કરાઈ, ત્યારે ફરી એકવાર ‘ખાલિસ્તાન’ શબ્દની ચર્ચા થઈ રહી છે. પંજાબ અને બંગાળ એ બે એવા રાજ્યો છે જેણે ભારતના ભાગલાની પીડા સૌથી વધારે વેઠી હતી. શીખ અલગાવવાદીઓ આજે પણ અલગ શીખ દેશની માંગણી કરી રહ્યા છે અને એ માટે ‘ખાલિસ્તાન’ શબ્દનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો, કે ‘ખાલિસ્તાન’ શબ્દનો ઉદ્ભવ અલગ શીખ દેશની માંગમાંથી નહીં, પરંતુ પાકિસ્તાનના વિરોધ માટે થયો હતો? ચાલો, જાણીએ કે ઇતિહાસનું એ રસપ્રદ પ્રકરણ શું હતું.
પંજાબમાં ઉગ્રવાદ પર પીએચડી કરનારા પ્રોફેસર મલકિત સિંહે ખાલિસ્તાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે, જ્યારે ભીંડરાનવાલે સામે સરકારની કાર્યવાહીનું વિશ્લેષણ કરવામાં આવે છે, ત્યારે મોટાભાગના વિદ્વાનો ઓપરેશન બ્લુ સ્ટારને શીખ રાષ્ટ્રવાદના દમન તરીકે જુએ છે. ભીંડરાનવાલે એક સ્વતંત્ર શીખ રાષ્ટ્ર 'ખાલિસ્તાન' સ્થાપિત કરવા માંગતો હતો, એ સાચું, પણ ખાલિસ્તાનનો નારો ધાર્મિક રાષ્ટ્રવાદને કારણે નહોતો થયો. ખાલિસ્તાન શબ્દનો પ્રયોગ તો આઝાદી અગાઉ થઈ ચૂક્યો હતો.
ખાલિસ્તાન શબ્દના જનક એક ડૉક્ટર હતા
‘હિમાચલ પ્રદેશ સેન્ટ્રલ યુનિવર્સિટી’ના પ્રોફેસર ડૉ. મલકિત સિંહ જણાવે છે કે, ખાલિસ્તાન શબ્દનો ઉપયોગ સૌપ્રથમ 1940માં લુધિયાણાના એક મેડિકલ ડૉક્ટર વી. એસ. ભટ્ટી દ્વારા એક પેમ્ફલેટના શીર્ષક તરીકે કરાયો હતો. ‘ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગ’ દ્વારા માર્ચ 1940 માં ‘લાહોર ઠરાવ’ (બીજું નામ ‘પાકિસ્તાન ઠરાવ’) રજૂ કરાયો હતો, જેમાં મુસ્લિમો પંજાબને પાકિસ્તાનમાં ભેળવી દેવાની માંગ કરતા હતા. એ ઠરાવની વિરુદ્ધમાં ડૉ. ભટ્ટી દ્વારા અલગ ખાલિસ્તાન પ્રાંતનો નારો (સૂત્ર, ધ્યેય વાક્ય) અપાયો હતો. ખાલિસ્તાનના નારા લગાવીને ચિનાબથી લઈને યમુના નદી સુધીના વિસ્તાર પર દાવો કરવાનો પ્રયાસ કરાયો હતો. જો દેશનું વિભાજન થવાનું જ હોય તો પંજાબનો શક્ય એટલો વધુ વિસ્તાર ભારતના હિસ્સામાં આવે એ માટે આવો પ્રયાસ કરાયો હતો.
ખાલિસ્તાન શબ્દનો પણ વિરોધ થયો હતો
જો કે પાછળથી ખાલિસ્તાન શબ્દનો ઉપયોગ અલગતાવાદી પ્રવૃત્તિ માટે થવા લાગ્યો. પ્રોફેસર મલકિત સિંહ કહે છે કે, શિરોમણી અકાલી દળના તત્કાલીન પ્રમુખ માસ્ટર તારા સિંહે પણ ખાલિસ્તાન વિશેના પેમ્ફલેટની નિંદા કરી હતી. માસ્ટર તારા સિંહનો જન્મ એક હિન્દુ પરિવારમાં થયો હતો અને તેમણે ૧૯૦૩માં શીખ ધર્મ અપનાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ખાલિસ્તાન શબ્દ પાકિસ્તાનના નામ પર ચાલી રહેલા શબ્દની જેમ જ બીજી મૂંઝવણ પેદા કરશે. જો કે, બીજા શીખ નેતા અને કોંગ્રેસ પક્ષના પ્રબળ સમર્થક બાબા ગુરદિત સિંહે માસ્ટર તારા સિંહના મંતવ્યનું ખંડન કર્યું. તેમણે ખાલિસ્તાનના વિચારને લોકપ્રિય બનાવવા માટે બે પરિષદોનું આયોજન કર્યું હતું.
અકાલી દળ અલગ રાજ્ય નહોતું ઇચ્છતું
પ્રોફેસર મલકિત સિંહ કહે છે કે, અકાલી દળ ક્યારેય શીખ ઓળખનો ઉપયોગ શીખો માટે અલગ રાજ્ય બનાવવા માટે કરવા માંગતો ન હતો. પરંતુ એ પછી ધાર્મિક આધાર પર દેશનું વિભાજન અકાલી દળની રાજનીતિની જીવનરેખા બની ગયું. તેઓ જાણતા હતા કે જો દેશનું વિભાજન થશે, તો સૌથી વધુ નુકસાન શીખોને થશે, કારણ કે પંજાબનું ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજન કરવું પડશે. એમની ધારણા મુજબ જ થયું. વિભાજનની સૌથી મોટી ત્રાસદી પંજાબે વેઠવી પડી. પાકિસ્તાનની રચના પંજાબ અને બંગાળની છાતી ચીરીને કરવામાં આવી.
ભાગલામાં શીખોને ભયંકર નુકસાન થયું હતું
ભાગલાની હિંસામાં શીખોએ તેમની 2.5% વસ્તી ગુમાવી દીધી. મહિલાઓ અને બાળકો પર અમાનવીય અત્યાચાર થયા. પશ્ચિમ પંજાબમાં શીખોએ એમના હિસ્સાની 75% સિંચાઈવાળી જમીન અને મિલકતો પણ ગુમાવી દીધી. ધાર્મિક રાજકારણ ભારતના હિસ્સામાં આવેલા પંજાબના વિભાજન તરફ દોરી ગયું. પંજાબમાંથી હરિયાણા અને હિમાચલ પ્રદેશ રચાયા. પછી જે પંજાબ બાકી રહ્યું હતું તેમાં શીખ બહુમતી હતી.
આ પણ વાંચો: બેંગલુરુ નાસભાગ કેસ: FIRમાં નામ આવ્યા બાદ KSCAમાં એક બાદ એક બે રાજીનામાં
પંજાબમાં શીખ બહુમતી સર્જાતાં અલગ રાજ્ય માટે ચળવળ શરુ થઈ
આઝાદી પછી પંજાબમાં વસ્તી વિષયક પરિવર્તન જોવા મળ્યું. સ્વતંત્રતા પહેલાના પંજાબમાં હિન્દુઓ (30.1%) અને શીખો (14.9%) કુલ વસ્તીના 44% હતા જ્યારે મુસ્લિમો 53.2% હતા. ભાગલા થતાં પંજાબની મુસ્લિમ વસ્તી પાકિસ્તાનના પશ્ચિમ પંજાબ તરફ સ્થળાંતરિત થઈ ગઈ. તેથી ભારતના પંજાબમાં સ્વતંત્રતા પછી કુલ વસ્તીના 65.75 % હિન્દુઓ અને 30.29 % શીખો હતા. આ બદલાયેલા વાતાવરણમાં અકાલી દળે પંજાબ પ્રાંત માટે ચળવળ શરુ કરી. જ્યારે રાજ્યનું પુનર્ગઠન થયું, ત્યારે હિન્દી ભાષી હરિયાણા અને હિમાચલ અલગ થઈ ગયા. પંજાબનો બાકીનો ભાગ શીખ બહુમતીવાળો બન્યો. જેને લીધે પછી અલગ શીખ દેશ ‘ખાલિસ્તાન’ની માંગણી બળવત્તર બનવા લાગી.