પહલગામથી ધ્યાન હટાવવા માટે જાતિગત વસ્તીગણતરીનું કાર્ડ ખેલ્યું, પાક. સાથે તણાવ વચ્ચે સંજય રાઉતનો દાવો
Sanjay Raut On Caste-Based Census : શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયનો શ્રેય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આપ્યો છે. રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે, પહલગામ આતંકવાદી હુમલા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાઉતે જણાવ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના કેન્દ્રના નિર્ણયનો સમય શંકાસ્પદ હતો, કારણ કે તે દક્ષિણ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના એક અઠવાડિયા પછી જ આવ્યો હતો.
'પહલગામ હુમલાથી લોકોનું ધ્યાન ફટકાવવા માટે સરકારે નિર્ણય લીધો'
રાજ્યસભાના સદસ્યએ દાવો કર્યો હતો કે, સરકારનો આ પ્રકારનો નિર્ણય લોકોનું ધ્યાન ફટકાવવા માટે છે. આ દરમિયાન ભાજપ સરકાર જમ્મુ-કાશ્મીરમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા પહલગામ આતંકી હુમલાને લઈને સવાલોનો સામનો કરી રહી છે. કેન્દ્ર સરકારે ગત બુધવારે નિર્ણય કર્યો કે, આગામી વસ્તી ગણતરી જાતિ આધારિત 'પારદર્શક' રીતે સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જાતિ આધારિત સર્વેક્ષણને 'રાજકીય હથિયાર' તરીકે ઉપયોગ કરવા બદલ વિપક્ષી દળોની પણ ટીકા કરી હતી.
જાતિગત વસ્તી ગણતરી સામાજિક ન્યાય સાથે સંબંધિત મુદ્દો..
સ્વતંત્રતા પછી પહેલીવાર જાતિ આધારિત ગણતરીનો સમાવેશ કરવાના આ પ્રસ્તાવિત પગલાને ભાજપ અને તેના સાથી પક્ષોએ 'ખરેખર ન્યાયી અને કેન્દ્રિત' નીતિઓ ડિઝાઇન કરવામાં મદદ કરવાના ઐતિહાસિક પગલા તરીકે આવકાર્યો છે. રાજકીય બાબતોની કેબિનેટ કમિટી (CCPA) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાઉતે ભાર મૂક્યો કે જાતિગત વસ્તી ગણતરી સામાજિક ન્યાય સાથે સંબંધિત મુદ્દો છે.
રાઉતે કહ્યું કે, 'બહુજન વસ્તી માટે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ છે. કેબિનેટ દ્વારા ભલેને આ નિર્ણય લીધો છે, પરંતુ જનતા, દેશ, દલિતો, શોષિત અને વંચિત સમાજ આનો શ્રેય રાહુલ ગાંધીને આપી રહ્યા છે. રાહુલ ગાંધી છેલ્લા 10 વર્ષથી જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. બિહાર વર્ષ 2025ના અંતમાં અને પશ્ચિમ બંગાળમાં 2026માં થવા જનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લેવાયો છે.'