Get The App

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી 1 - image

Sabarimala Verdict : સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલા મામલાઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે. કોર્ટે પૂછ્યું કે, ઉત્તર ભારતમાં રહેતી કોઈ બિન-શ્રદ્ધાળુ વ્યક્તિ આખરે કયા આધારે સબરીમાલા મંદિરમાં પ્રવેશનો અધિકાર માંગી શકે. અદાલતે સ્પષ્ટ કહ્યું કે, ‘સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય.’

‘ધાર્મિક ઇતિહાસને નજર અંદાજ કરવો શક્ય નથી’

સુનાવણી દરમિયાન જસ્ટિસ બી. વી. નાગરત્નાએ જણાવ્યું કે, ભારતની સભ્યતા અને ધાર્મિક ઇતિહાસને નજર અંદાજ કરવો શક્ય નથી. બંધારણની કલમ-25 અને 26 પણ આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી જ વિકસિત થઈ છે. કોર્ટના જણાવ્યા અનુસાર વર્તમાનને સમજવા માટે ભૂતકાળની અવગણના કરી શકાય નહીં.

ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે કથિત ભેદભાવનો મામલો

નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે કહ્યું કે, મંદિર પ્રવેશના અધિકાર સાથે જોડાયેલા મામલાઓમાં એ જોવું જરૂરી છે કે, દાવો કરનાર વ્યક્તિ ભક્ત છે કે નહીં. કોર્ટે સંકેત આપ્યો કે, ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા મામલાઓમાં આસ્થાનું પાસું પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કોર્ટે આ ટિપ્પણી તે અરજીઓની સુનાવણી દરમિયાન કરી છે, જેમાં સબરીમાલા સહિત વિવિધ ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે કથિત ભેદભાવનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અદાલત આ મામલામાં ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતાના અધિકાર વચ્ચેના સંતુલન પર વિચાર કરી રહી છે.

આ પણ વાંચો : ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો?

‘મહિલાઓને મંદિરોમાં પ્રવેશવા દેવામાં રાજ્ય સરકારના અસહયોગ’

વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંગે દલીલ કરી કે, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટનો અગાઉનો નિર્ણય હજુ પણ અસ્તિત્વમાં છે અને તેના પર કોઈ સ્ટે નથી. તેમ છતાં મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળી રહ્યો નથી જેનું કારણ રાજ્ય સરકારનો અસહયોગ છે. તેમણે એમ પણ કહ્યું કે, અદાલત ધર્મની વ્યાખ્યા નક્કી કરતી નથી પરંતુ તે નક્કી કરવું ધાર્મિક પરંપરાઓ અને માન્યતાઓનો વિષય છે. સુનાવણી દરમિયાન એ પણ ચર્ચા થઈ કે શું બંધારણને સંપૂર્ણ રીતે નવા દૃષ્ટિકોણથી જોવું જોઈએ કે પછી ઐતિહાસિક સંદર્ભોને ધ્યાનમાં રાખીને તેની વ્યાખ્યા કરવી જોઈએ. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઊંડી ચર્ચા થઈ હતી.

સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રવેશ પ્રતિબંધને ગેરબંધારણીય જાહેર કર્યો હતો : વકીલ

તેમણે કહ્યું કે, મહિલાઓને 10થી 50 વર્ષની વય વચ્ચે મંદિરમાં પ્રવેશતાં અટકાવવી એ અધિકારોથી વંચિત રાખવા સમાન છે. જયસિંગે સુપ્રીમ કોર્ટના 2018ના ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તે નિર્ણયમાં મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો હતો. આમ છતાં આજે પણ મહિલાઓને મંદિરમાં પ્રવેશમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.

‘ધાર્મિક પ્રથાને આવશ્યક કે બિન-આવશ્યક જાહેર કરવી એ કોર્ટ માટે અત્યંત જટિલ કાર્ય’

કોર્ટે આ બાબતે સ્પષ્ટ કહ્યું કે, મહિલાને તેના સામાજિક વર્ગના કારણે નહીં પરંતુ વય જૂથના આધારે રોકવામાં આવી હતી. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, વિવિધતા એ જ ભારતની શક્તિ છે અને બંધારણની કલમ 26 હેઠળ ધાર્મિક સંપ્રદાયોને પોતાના મામલાઓનું સંચાલન કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે, કોઈ ધાર્મિક પ્રથાને આવશ્યક કે બિન-આવશ્યક જાહેર કરવી એ ન્યાયાલય માટે અત્યંત જટિલ કાર્ય છે.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ઓટો કંપનીઓને ગડકરીની ચેતવણી; હવે આ પાંચ બાબત ધ્યાનમાં રાખો