અશ્લીલ રીલ બનાવવાને કારણે દુષ્કર્મ? પંજાબની ઈન્ફ્લૂએન્સરની હત્યા મામલે નવો વળાંક
Social Media Indluencer Kamal Kaur Murder Case: પંજાબના લુધિયાણાની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કંચન ઉર્ફે કમલ કૌર ભાભીની બઠિંડામાં થયેલી હત્યા મામલે હવે નવો વળાંક આવ્યો છે. હત્યા પહેલા દુષ્કર્મની શક્યતાને ધ્યાનમાં રાખીને ખરડ અને ફરીદકોટની મેડિકલ લેબમાં તપાસ માટે સેમ્પલ મોકલ્યા છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેથી હત્યા પહેલા થયેલા કોઈપણ ગુનાનો સંપૂર્ણ ખુલાસો થઈ શકે. બીજી તરફ આ હત્યાના માસ્ટરમાઈન્ડ અમૃતપાલ સિંહ મેહરોનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
માસ્ટરમાઈન્ડ અમૃતપાલ સિંહ ફરાર
માસ્ટરમાઈન્ડ અમૃતપાલ સિંહ મેહરોન હજુ પણ ફરાર છે. અમૃતપાલ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને હત્યાની જવાબદારી લઈ રહ્યો છે અને બીજા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરને ધમકી આપી રહ્યો છે. પોલીસે અમૃતપાલની ધરપકડ માટે 7 સ્પેશિયલ ટીમો બનાવી છે. આ ટીમોમાં કેન્ટ પોલીસ સ્ટેશન, CIA વન, CIA ટુ, ટેકનિકલ સેલ અને સાયબર સેલ સામેલ છે, જે તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે અને તેને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે. SSP અમનીત કૌંડલે જણાવ્યું કે, મુખ્ય આરોપી અમૃતપાલ સિંહ મેહરોનની ખૂબ જ ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરમાં ડર
નિહંગ અમૃતપાલ સિંહ મેહરોને ગઈકાલે અમૃતસરના સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર દીપિકા લૂથરાને ધમકી આપી હતી. એક વીડિયો જારી કરીને તેણે કહ્યું કે, હું તેને તેના અશ્લીલ કન્ટેન્ટ વિશે પહેલા જ સમજાવી ચૂક્યો છે. દીપિકા મારી માફી પણ માગી ચૂકી છે. તેમ છતાં તે ફરીથી અશ્લીલ વિડિઓઝ અપલોડ કરી રહી છે. દીપિકાને ચેતવણી આપતા અમૃતપાલે કહ્યું કે, જો તે હજુ પણ નહીં સુધરશે, તો તેને બક્ષવામાં આવશે નહીં. વીડિયોમાં અમૃતપાલે કહ્યું કે, પાર્કિંગ માત્ર બઠિંડામાં જ નથી અને એ પણ જરૂરી નથી કે, દર વખતે મૃતદેહ મળે જ. આ ધમકી પછી અમૃતસરના સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર દીપિકા લૂથરાએ સુરક્ષાની માગણી કરતા કહ્યું કે, મારા જીવને જોખમ છે. બીજી તરફ આ ઘટના પછી પંજાબના ઘણા અન્ય સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પણ ડરમાં છે અને કન્ટેન્ટ અપલોડ કરવાનું બંધ કરી દીધું છે.
આ પણ વાંચો: પંજાબમાં 4 લાખ ફોલોઅર ધરાવતી મહિલા ઈન્ફ્લુએન્સરનું રહસ્યમય મોત, કારમાંથી લાશ મળી
અશ્લીલ કન્ટેન્ટ અપલોડ કરવાના કારણે હત્યા
લુધિયાણાની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કમલ કૌર ભાભીની હત્યાનું કાવતરું નિહંગ અમૃતપાલ મહેરોને તેના બે સાથીઓ સાથે મળીને ઘડ્યું હતું. બઠિંડા પોલીસે હત્યા કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ મોગાના જસપ્રીત સિંહ મહેરૂ અને તરનતારનના નિમરનજીત સિંહ તરીકે થઈ છે. હત્યાનો માસ્ટરમાઈન્ડ અમૃતપાલ હજુ સુધી પકડાયો નથી. અમૃતપાલે 9 જૂને કંચનને બઠિંડા બોલાવી હતી. જસપ્રીત અને નિમરનજીત કંચન કૌરને બઠિંડા લાવ્યા હતા. તેઓ કાર રિપેર કરાવવાના બહાને તેને ભૂચ્ચો મંડીના એક ગેરેજમાં લઈ ગયા હતા. ત્યાં તેઓએ તેનું ગળું દબાવીને હત્યા કરી અને લાશને તેની કારમાં મૂકી અને આદેશ યુનિવર્સિટીના પાર્કિંગમાં કાર પાર્ક કરી દીધી. આરોપીએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે, 'કંચન પોતાનું નામ કમલ કૌર રાખીને અશ્લીલ કન્ટેન્ટ અપલોડ કરતી હતી અને યુવાનોને બગાડતી હતી. તેને પહેલા પણ સમજાવવામાં આવી હતી પરંતુ તેણે સાંભળ્યું નહીં, તેથી તેની હત્યા કરી નાખવામાં આવી.'