વેટિંગ ટિકિટને લઈને રેલવેનો વધુ એક નિર્ણય, હવે માત્ર 25 ટકા જ ટિકિટ થઈ શકશે બુક
Indian Railways Waiting Ticket Booking New Rule : ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રેલવે વેઇટિંગ ટિકિટના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે. નવા નિયમ મુજબ હવે વેઇટિંગ ટિકિટોની બુકિંગ મર્યાદા મર્યાદા નક્કી કરી દેવાઈ છે. રેલવેના નિર્ણય મુજબ, હવે તમામ ક્લાસમાં જેટલી બેઠક વ્યવસ્થા હશે તેની 25 ટકા જ ટિકિટો વેઇટિંગ લિસ્ટમાં બુક થઈ શકશે. સરળ ભાષામાં કહીએ તો જો કોઈ ક્લાસમાં સામાન્ય બુકિંગ માટે 100 બેઠકો ઉપલબ્ધ હશે, તો તેમાંથી વેઇટિંગ લિસ્ટમાં 25 ટિકિટ જ બુક કરી શકાશે, ત્યારબાદ બુકિંગ બંધ થઈ જશે.
અગાઉ વેઇટિંગ લિસ્ટમાં અનેક ટિકિટો બુક થતી હતી
નિયમો મુજબ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, વિદેશી પ્રવાસીઓ અને વિકલાંગ મુસાફરોને કોટા હેઠળ ટિકિટની ફાળવણી કર્યા બાદ બાદ જે બેઠકો બાકી હોય છે, તે જ બેઠકો સામાન્ય બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે. આ પહેલા ટિકિટ બુકિંગ કરવાની મર્યાદા જેવો કોઈ નિયમ ન હતો, જેના કારણે લાંબા વેઇટિંગ લિસ્ટના કારણે અનેક મુસાફરો પરેશાન થતા હતા. કોચની તમામ બેઠકો પર બુકિંગ થઈ ગયું હોવા છતાં, વેઇટિંગ લિસ્ટમાં ટિકિટો નોંધાતી હતી. ઘણી વખત લિસ્ટમાં સંખ્યા વધવાના કારણે, કન્ફર્મ થવું સંભવ ન હતું, જેના કારણે આવી ટિકિટો કેન્સલ થઈ જતી હતી અને પૈસા પરત કરી દેવાતા હતા.
આ પણ વાંચો : ‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર
નવા નિયમથી મુસાફરોને થશે ફાયદો
જૂના નિયમના કારણે મુસાફરોનો અને રેલવે સિસ્ટમનો સમય અને સંશાધનો બરબાદ થતા હતા. ટિકિટ કાઉન્ટર પર પણ ભીડ જમા રહેતી હતી. જોકે આ વ્યવસ્થાને હળવી બનાવવા તેમજ મુસાફરો સરળતાથી ટિકિટ બુકિંગ કરાવી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવો નિયમ સ્લીપર, સેકન્ડ એસી, થર્ડ એસી, ચેર કાર, તત્કાલ અને રિમોટ લોકેશન પર પણ લાગુ પડશે. રેલવેએ નવા નિયમને લઈને તમામ ઝોનલ ઑફિસને જાણકારી આપી દીધી છે.