Get The App

રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા! I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ?

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા! I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ? 1 - image


Supriya Sule on EVM: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(શરદચંદ્ર પવાર)ના વરિષ્ઠ નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM) પર સવાલ ઉઠાવવાનો ઇનકાર કર્યો છે. તેમણે લોકસભામાં ચૂંટણી સુધારા પરની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે તેઓ આ જ મશીનો દ્વારા ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા હોવાથી EVM સામે પ્રશ્ન નહીં કરે. મહારાષ્ટ્રના બારામતીથી ચાર વખત લોકસભાના સભ્ય અને NCP(શરદ પવાર)ના કાર્યકારી અધ્યક્ષ સુલેની પાર્ટી વિપક્ષી ગઠબંધન 'મહારાષ્ટ્ર વિકાસ અઘાડી'નો એક ભાગ છે, જેમાં કોંગ્રેસ અને શિવસેના(UBT) પણ સામેલ છે.

EVM પર સવાલ નહીં: 'આ જ મશીનથી ચૂંટાઈ છું'

ગૃહમાં સુપ્રિયા સુલેએ કહ્યું, કે, 'હું આ જ મશીન દ્વારા ચૂંટાઈને આવી છું, તેથી હું EVM કે VVPAT પર કોઈ સવાલ નહીં ઉઠાવું.' તેમણે સ્પષ્ટતા કરી કે, 'હું મશીનની વિરુદ્ધમાં કોઈ વાત નથી કરી રહી. હું માત્ર એક ખૂબ જ મર્યાદિત મુદ્દો રજૂ કરી રહી છું અને ભારતીય જનતા પાર્ટી, જેને મહારાષ્ટ્રમાં આટલો મોટો જનાદેશ મળ્યો છે, તેની પાસેથી મારી મોટી અપેક્ષાઓ છે.'

પ્રિયંકા ગાંધીનો પડકાર: ભાજપ અને PM મોદી બેલેટ પેપર પર ચૂંટણી લડે

એક દિવસ પૂર્વે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત એક રેલીને સંબોધતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ અને પીએમ મોદીને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ભાજપ બેલેટ પેપર પર ચૂંટણી લડે અને મતની ચોરી કરવાનું બંધ કરે, તો તે એક પણ ચૂંટણી જીતી શકશે નહીં. તેમના મતે, ચૂંટણી પંચના સહયોગ વિના ભાજપ માટે ચૂંટણી જીતવી અશક્ય છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ સરકારને મદદ કરી રહ્યું છે અને લોકશાહીને નબળી પાડી રહ્યું છે. ચૂંટણીની જાહેરાતથી માંડીને મતદાર યાદી, મતદાન, મતગણતરી અને EVMનો ઉપયોગ—આ તમામ બાબતોમાં પંચ ભાજપને લાભ પહોંચાડવા માટે કામ કરી રહ્યું છે. અંતે, તેમણે ઉમેર્યું કે જનતાનો વિશ્વાસ ભાજપ, સરકાર, વડાપ્રધાન અને ગૃહમંત્રી પરથી હટી ગયો છે.

આ પણ વાંચો: ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 4ના મોત, 25 ઈજાગ્રસ્ત

'ઈન્ડિયા' ગઠબંધનમાં આંતરિક વિખવાદની અટકળો તેજ

EVM અંગે સુપ્રિયા સુલેનું આ નિવેદન ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે, કારણ કે તેના રાજકીય અર્થો અને સંદેશાઓ ઊંડા હોઈ શકે છે. આ નિવેદનથી હવે એવી અટકળો પણ તેજ બની છે કે શું 'ઈન્ડિયા' ગઠબંધનના સહયોગી પક્ષો વચ્ચે કોઈ આંતરિક મતભેદ ઊભો થયો છે. સામાન્ય રીતે, સંસદમાં તમામ વિપક્ષી દળો કોઈ પણ મુદ્દે સરકારનો સંયુક્તપણે સામનો કરતા આવ્યા છે અને ગૃહની અંદર તેમજ બહાર સરકારને ઘેરતા રહ્યા છે. જોકે, ચૂંટણી સુધારાની ચર્ચા દરમિયાન, જ્યાં કોંગ્રેસના નેતાઓ EVMના કથિત દુરુપયોગનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, ત્યાં સુપ્રિયા સુલેએ પોતાની ચાર વખતની જીતનો ઉલ્લેખ કરીને EVM પર સવાલ ઉઠાવવાની ના પાડી દીધી.

રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા! I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ? 2 - image