બળજબરીપૂર્વક બાંગ્લાદેશ મોકલી અને ભૂલનું ભાન થતાં પાછી બોલાવી, આસામની રહીમા બેગમની પીડા
Assam Citizenship Issue: આસામમાં નાગરિકતા માટે કટ-ઓફ તારીખ મુદ્દે વિવાદ વકર્યો છે. હાલમાં જ આસામની એક મહિલાને સુરક્ષા દળો દ્વારા બળજબરીપૂર્વક બાંગ્લાદેશ સરહદ પર મોકલી દેવામાં આવી હતી. જો કે, બાદમાં સુરક્ષા દળોને પોતાની ભૂલનો અનુભવ થતાં તેને પાછી લાવ્યા હતા. પરંતુ આ સમય દરમિયાન મહિલાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા કહે છે કે આસામમાં વિદેશી જાહેર કરાયેલા તમામ લોકોને બાંગ્લાદેશ પાછા મોકલવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સુરક્ષા દળો આસામમાંથી વિદેશી જાહેર થયેલા લોકોની મોટાપાયે અટકાયત કરી રહ્યું છે. જેમાં તેમણે રહીમા બેગમ (ઉ.વ. 50) નામની મહિલાની પણ અટકાયત કરી તેને બાંગ્લાદેશ મોકલી હતી. જો કે, બાદમાં જાણ થઈ કે, તે મહિલા આસામની જ રહેવાસી છે. જેથી તેને પાછી લાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, 1971ના યુદ્ધ બાદ બાંગ્લાદેશથી આસામમાં સ્થળાંતર કરી રહેલા લોકોને પાછા તેમના વતન મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
શું બની હતી ઘટના?
25 મેના રોજ સવારે 4 વાગ્યે પોલીસ રહીમા બેગમના ઘરે પહોંચી હતી અને તેને પોલીસ સ્ટેશન આવવા કહ્યું હતું. તેને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. બાદમાં રાત્રે કારમાં બાંગ્લાદેશ સરહદ પર લઈ જવામાં આવી હતી. રહીમા બેગમે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ મને કેટલાક બાંગ્લાદેશી રૂપિયા આપ્યા અને પાછા ન આવવા કહ્યું હતું. જ્યારે હું સરહદની બીજી બાજુ પહોંચી, ત્યારે ત્યાં ડાંગરના ખેતરો, કાદવ અને ઘૂંટણસમા પાણી હતું. મારી સાથે અન્ય લોકો પણ હતાં. અમે બધા એક ગામમાં પહોંચ્યા તો ત્યાંથી અમને ભગાડી મૂકવામાં આવ્યા હતાં. બાંગ્લાદેશી સુરક્ષા દળોએ અમને માર પણ માર્યો હતો અને કહ્યું કે જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા જાઓ.
આ પણ વાંચોઃ રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજની સગાઈની ડેટ ફાઈનલ થઈ, જાણો કોને કોને આમંત્રણ
આખો દિવસ કાદવ-કિચડવાળા ખેતરમાં ઉભા રહ્યાં
રહીમાએ જણાવ્યું કે, આખો દિવસ અનાજના એક ખેતરમાં ઉભા રહ્યાં. કાદવ-કિચડવાળા ખેતરમાં પીવા માટે પાણી પણ મળ્યુ ન હતું. તેમજ અમને આગળ જવાની પણ મનાઈ હતી. ગુરૂવારે સાંજે ભારતના સુરક્ષા દળોએ મને પાછી બોલાવી અને ગાડીમાં કોકરાઝાર લઈ રહ્યા. ત્યાંથી ગોલાઘાટ આવ્યા હતાં. મને કાંઈ જ ખબર ન હતી કે, મારી સાથે શું બની રહ્યું છે. મારી પાસે મારી ઓળખના દસ્તાવેજ હતાં. બાદમાં મારા પતિને બોલાવી મને ઘરે લઈ જવા કહેવામાં આવ્યું.
આ કાયદાને લીધે થઈ અટકાયત
જોરહાટ ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં રહીમાનો કેસ લડી રહેલા એડવોકેટ લિપિકા દેબએ જણાવ્યું હતું કે, ફોરેનર્સ ટ્રિબ્યુનલે રહીમાને 'પોસ્ટ-સ્ટ્રીમ' જાહેર કરી છે. આ શબ્દનો ઉપયોગ એવા લોકો માટે થાય છે જેઓ 1 જાન્યુઆરી 1966 થી 25 માર્ચ 1971 ની વચ્ચે ભારત આવ્યા હતા અને તે પછી આસામમાં રહેતા હોય. જો આવું થાય, તો નાગરિકતા કાયદાની કલમ 6A (3) અનુસાર, તે વ્યક્તિએ 30 દિવસની અંદર સંબંધિત વિદેશી નોંધણી કાર્યાલય (FRRO) માં નોંધણી કરાવવી જરૂરી છે. આ કાયદા અનુસાર, આવા વ્યક્તિનું નામ 10 વર્ષ માટે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે પરંતુ આ સમય દરમિયાન તેમને ભારતના લોકો જેવા જ અધિકારો મળશે. 10 વર્ષ પછી, તેઓ ભારતના નાગરિક ગણાશે. જ્યારે અમે પોલીસ અને જોરહાટમાં FRRO ઓફિસમાં તપાસ કરી જ્યાં અમે રહીમાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારે અમને પ્રમાણપત્રમાં નોંધણી નંબરના એક અંકમાં ભૂલ મળી હતી. અમે ભૂલ વિશે SPનો સંપર્ક કરી રહીમાને પરત પોતાના વતન લાવવામાં સફળ રહ્યાં. વેરિફિકેશનમાં ખામીના કારણે રહીમાને આટલું બધુ નુકસાન વેઠવું પડ્યું હતું.