ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Qatar-Iran Conflict : ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા જંગની ગંભીર અસર હવે ભારત પર પડી છે. વિશ્વના સૌથી મોટા પ્રાકૃતિક ગેસ ઉત્પાદક દેશ કતરે ભારતને કરવામાં આવતી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની નિકાસમાં 40 ટકા સુધીનો મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ઈરાન દ્વારા કતરમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અને ગેસ પ્લાન્ટ્સ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ કતરે આ નિર્ણય લેવો પડ્યો છે.
ઈરાનના હુમલાથી કતર સંકટમાં, પ્લાન્ટ બંધ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાને સોમવારે કતર એનર્જીના બે મુખ્ય પ્લાન્ટ ‘રાસ લફ્ફાન ઇન્ડસ્ટ્રિયલ સિટી’ અને ‘મેસાઈદ ઇન્ડસ્ટ્રિયલ સિટી’ પર ડ્રોન અને મિસાઈલોથી ભીષણ હુમલો કર્યો હતો. આ હુમલા એટલા શક્તિશાળી હતા કે સુરક્ષાના કારણોસર કતરે તેના ગેસ પ્લાન્ટનું ઉત્પાદન હાલ પૂરતું અટકાવી દેવું પડ્યું છે. આ પ્લાન્ટ્સ બંધ થવાથી વિશ્વભરના ગેસ સપ્લાય ચેઈન પર વિપરિત અસર પડી છે.
ભારતની જરૂરીયાતનું 40 ટકા LNG કતરનું
ભારત તેની કુલ ઉર્જા જરૂરિયાતના મોટા હિસ્સા માટે કતર પર નિર્ભર છે. ભારત દર વર્ષે અંદાજે 27 મિલિયન ટન LNG આયાત કરે છે, જેમાંથી 40 ટકા હિસ્સો એકલું કતર પૂરું પાડે છે. આ ગેસનો ઉપયોગ પાવર જનરેશન, ખાતર ઉત્પાદન, CNG વિતરણ અને ઘરોમાં પાઇપ્ડ ગેસ કનેક્શન માટે કરવામાં આવે છે. સપ્લાયમાં કાપ આવતા ગેસ માર્કેટર્સ દ્વારા હવે ઉદ્યોગોને અપાતા ગેસમાં 10થી 40 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે, જોકે CNG રિટેલિંગ માટે ફ્લો રેટ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ, શિપમેન્ટ અટક્યા
ઈરાનના નિયંત્રણ હેઠળના ‘હોર્મુઝ સ્ટ્રેટ’માં તણાવ વધવાથી શિપમેન્ટ લગભગ અટકી ગયું છે. આ એક એવો મહત્વનો દરિયાઈ માર્ગ છે જ્યાંથી ભારતની 54 ટકા LNG સપ્લાય અને 50 ટકા ક્રૂડ ઓઈલ પસાર થાય છે. શિપમેન્ટ ખોરવાતા ઈન્શ્યોરન્સ અને ટ્રાન્સપોર્ટેશનના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્પોટ માર્કેટમાં ગેસની કિંમત હવે વધીને 25 અમેરિકી ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (BTU) થઈ ગઈ છે, જે સામાન્ય દરો કરતા બમણી છે.
ભારતે અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કર્યા
ભારતીય કંપનીઓ જેવી કે ગેલ (GAIL) અને ઈન્ડિયન ઓઇલ (IOC) હાલમાં ગેસની અછત પૂરી કરવા માટે સ્પોટ માર્કેટ તરફ નજર દોડાવી રહી છે, પરંતુ વધતા જતા આંતરરાષ્ટ્રીય ભાવના કારણે ભારતીય અર્થતંત્ર પર મોટો નાણાકીય બોજ આવી શકે તેમ છે.









