દિલ્હીમાં પરાજય બાદ AAPને રાહત: ગુજરાત જ નહીં આ રાજ્યમાં પણ જીતી પેટાચૂંટણી

Ludhiana And Visavadar Assembly By-Election 2025 : પંજાબની લુધિયાણા બેઠક અને ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. આજથી પાંચ મહિના પહેલા આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સત્તા ખોવી પડી હતી. દિલ્હીની ચૂંટણીમાં AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સહિત તમામ મોટા નેતાઓ હારી ગયા હતા, ત્યારે લુધિયાણા અને વિસાવદર બેઠક પર AAPની જીત પા્ટી માટે સંજીવની સાબિત થઈ શકે છે.
હવે AAP પંજાબ-ગુજરાત પર ફોકસ વધારશે
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને પાર્ટીએ લુધિયાણા બેઠક પણ જીતી લીધી છે. જ્યારે ગુજરાતની વિસાવદર પણ જીતી લીધી છે, તેથી હવે આમ આદમી પાર્ટી પંજાબ અને ગુજરાત પર ફોકસ વધારશે. કેજરીવાલ, સિસોદિયા સહિત તમામ મોટા નેતાઓ પેટા-ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે.
કેજરીવાલ અરોરાને પંજાબ સરકારમાં મંત્રી બનાવશે
AAPએ ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલા જ રાજ્યસભાના સભ્ય સંજીવ અરોરા (Sanjeev Arora)ને લુધિયાણા બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને હવે તેમણે જીત મેળવી લીધી છે. વર્ષ 2022 સુધી લુધિયાણા કોંગ્રેસનો ગઢ કહેવાતી હતી. અરોરાએ કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ભૂષણ આશુને હરાવ્યા છે. કેજરીવાલે વચન આપ્યું હતું કે, અરોરા જીતશે તો તેમને ભગવંત માન સરકારમાં મંત્રી બનાવાશે. ધારાસભ્ય ગુરપ્રીત યોગીનું મોત થયા બાદ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
કયાં પક્ષના કયાં ઉમેદવારને કેટલાં મત મળ્યા
- સંજીવ અરોરા (AAP)- 35144 મત
- ભારત ભૂષણ આશુ (Congress)- 24510 મત
- જીવન ગુપ્તા (BJP)- 20299 મત
- પરોપકાર સિંહ (અકાલી દળ)- 8198 મત
ગોપાલ ઈટાલિયાની જીત
જ્યારે ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક યોજાયેલી પેટા-ચૂંટણીમાં AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયા (Gopal Italia)ની મોટી જીત થઈ છે. ઈટાલિયને 75,942 મત, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,388 મત અને કોંગ્રેસના નિતિન રણપરિયાને 5501 મત મળ્યા છે. આ બેઠક પરના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ ડિસેમ્બર-2023થી વિસાવદર બેઠક ખાલી પડી હતી.
કડીમાં ભાજપની જીત
મહેસાણા જિલ્લાની કડી બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા (99,742 મત)નો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા (60,290 મત) અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાની (3090 મત) હાર થઈ છે. કડીમાં ભાજપ ધારાસભ્યનું અવસાન થયા બાદ બેઠક ખાલી પડી હતી. રમેશ ચાવડાએ 2012માં જીત મેળવી હતી, જોકે 2017માં ભાજપના કરસનભાઈ સોલંકી સામે હારી ગયા હતા.
આમ આદમી પાર્ટીએ શું કહ્યું?
પેટા-ચૂંટણીમાં બંને બેઠક જાળવી રાખ્યા બાદ અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કર્યું અને રાષ્ટ્રીય રાજકારણમાં ઉભરવાની વાત કહી છે. અનુરાગ ઢાંઢાને એક્સ પર લખ્યું છે કે, ‘મોદીના ગઢ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને પેટા-ચૂંટણીમાં પછળાતા જોઈ કેજરીવાલે રાષ્ટ્રીય રાજકારણમાં જબરદસ્ત વાપસી કરી છે.’

