VIDEO : મણિપુરમાં બસ પરથી નામ હટાવવા મુદ્દે બબાલ, દેખાવકારો-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ટિયર ગેસના સેલ છોડાયા
Manipur Violence : મણિપુરમાં રાજ્યની સરકારી બસ પરથી ‘મણિુપુર’ નામ હટાવવા મુદ્દે ભારે વિવાદ થયો છે. રાજભવન ઘેરવા આવેલા દેખાવકારો અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષા દળોએ સાવચેતીના ભાગરૂપે ટિયર ગેસના સેલ છોડ્યા છે, જેમાં પાંચ લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. વાસ્તવમાં એક સરકારી બસ પર મણિપુર શબ્દ ઢાકવાનો પ્રયાસ કરાયો હતો, જેને લઈને આ વિવાદ થયો છે.
રાજભવન સુધી રેલી પહોંચતા મામલો બિચક્યો
મળતા અહેવાલો મુજબ, સરકારી બસ પર ‘મણિપુર’નામ હટાવવાનો વિરોધ કરી રહેલા મણિપુર અખંડિતતા પર સંકલન સમિતિ (COCOMI) દ્વારા રાજભવન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. COCOMIની જાહેરાત બાદ હજારો લોકો રાજભવન પાસે પહોંચ્યા હતા. અહીં 500 મીટરની રેલી આગળ વધી રહી હતી, ત્યારે સુરક્ષા જવાનોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જોતજોતામાં ભીડ ઉગ્ર બનતા જવાનોએ ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.
અથડામણમાં પાંચને ઈજા
દેખાવકારોએ માંગ કરી હતી કે, ‘રાજ્યપાલ અજય કુમાર ભલ્લા આ અપમાનજનક કૃત્ય બદલ માફી માંગે. સુરક્ષા દળે રાજભવનથી 150 મીટર પહેલા કંગલા ગેસ પાસે એકઠી થયેલી ભીડને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ ન માનતા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. એક ખાનગી હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, ‘અથડામણમાં પાંચ દેખાવકારોને ઈજા થઈ છે, જેમને હોસ્પિટલમાં લવાયા છે.’
આ પણ વાંચો : વાણી પર સંયમ રાખો, ખોટી નિવેદનબાજીથી બચો: NDAની બેઠકમાં PM મોદીની નેતાઓને ટકોર
રાજ્યપાલ માફી માંગે : દેખાવકારોની માંગ
પ્રદર્શનકારીઓએ રાજ્યપાલ અજય કુમાર ભલ્લા પાસેથી માફીની માંગ કરી, અને તેમના પર આ બાબતે મૌન રહીને રાજ્યની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. દેખાવકારોનો આક્ષેપ છે કે, રાજ્યપાલ પોતાની મૌનતાથી લોકોની લાગણીઓનો અનાદર કરી રહ્યા છે. તેમણે અને તેમના વહીવટીતંત્રે રાજ્યનું સંચાલન કરતી વખતે રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સંપૂર્ણપણે અપમાન કર્યું છે. આ ઘટનાની તપાસ માટે સરકારે બનાવેલ તપાસ પંચ પૂરતું નથી અને તેમાં સંડોવાયેલા લોકોને દંડ કરવાનો કોઈ ઉલ્લેખ નથી. COCOMI એ રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે અને મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને સુરક્ષા સલાહકારના રાજીનામાની માંગ કરી છે. જૂથે જણાવ્યું છે કે પૂછપરછ જેવા પ્રતીકાત્મક સંકેતો જવાબદારી વિના અપૂરતા છે.
આ કારણે થયો વિવાદ
20 મેના રોજ મણિપુર રાજ્ય પરિવહનની બસ મીડિયા કર્મચારીઓને લઈને શિરુઈ લિલી મહોત્સવ જઈ રહી હતી. આ દરમિયાન બસ પર મણિપુર લખેલા શબ્દને ઢાંકવાનો આદેશ અપાયો હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ COCOMI રાજ્યનું અપમાન કરાયું હોવાનું આક્ષેપ કરાયા બાદ રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે.