Get The App

હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને 'લોકભવન'

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને 'લોકભવન' 1 - image


PMO Seva Teerth: વડાપ્રધાન કાર્યાલય એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ (PMO) હવે 'સેવા તીર્થ' તરીકે ઓળખાશે. PMOની જનસેવા અને કાર્યશૈલીમાં સમર્પણને ધ્યાનમાં રાખીને સરકારે આ મહત્ત્વનો ફેરફાર કર્યો છે. આ પરિવર્તન પાછળનો મુખ્ય હેતુ એ છે કે નાગરિકો તેમની સમસ્યાઓ અને સૂચનો વધુ સરળતાથી રજૂ કરી શકે અને PMO જનતા માટે વધુ સુલભ બને.

PMO 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે

PMO ટૂંક સમયમાં સાઉથ બ્લોક ખાતેની તેની જૂની ઓફિસમાંથી નીકળીને નવા 'સેવા તીર્થ' કોમ્પ્લેક્સમાં શિફ્ટ થશે. દાયકાઓ પછી આ એક મોટો ફેરફાર થઈ રહ્યો છે. નવું PMO 'સેવા તીર્થ-1' માંથી કામગીરી શરૂ કરશે, જે એક્ઝિક્યુટિવ એન્ક્લેવ-1માં બનેલી ત્રણ નવી બિલ્ડિંગમાંથી એક છે.

આ જ કોમ્પ્લેક્સમાં આવેલી 'સેવા તીર્થ-2' અને 'સેવા તીર્થ-3' ઇમારતોમાં કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor - NSA)ની ઓફિસ હશે. આ શિફ્ટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 14 ઑક્ટોબરના રોજ કેબિનેટ સચિવ ટી. વી. સોમનાથને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેના પ્રમુખો સાથે 'સેવા તીર્થ-2'માં એક મહત્ત્વની બેઠક પણ કરી હતી. આ નવું કોમ્પ્લેક્સ સરકારી કામકાજને વધુ ઝડપી બનાવશે અને ભારત સરકારની કાર્ય કરવાની રીતમાં એક નવો અધ્યાય લખશે.

2016માં થઈ હતી શરૂઆત

આ ફેરફારોની શરૂઆત 2016માં થઈ હતી, જ્યારે પીએમ મોદીએ પોતાના રહેઠાણનું નામ 7-રેસ કોર્સ રોડ થી બદલીને 7-લોક કલ્યાણ માર્ગ કર્યું હતું. ત્યાર બાદ  2022માં રાજ પથનું નામ બદલીને કર્તવ્ય પથ કરી દેવાયું હતું.

ભારતના વહીવટી તંત્રના મુખ્ય કેન્દ્રમાં હવે સેન્ટ્રલ સેક્રેટરિયેટને બદલે કર્તવ્ય ભવન છે. સરકાર આ ફેરફારને માત્ર નામ બદલવા કે છબી સુધારવા તરીકે જોતી નથી, પરંતુ તેને શાસન(ગવર્નન્સ)ની વિચારસરણીમાં આવેલા મોટા પરિવર્તનનું પ્રતીક માને છે. આ બદલાવનો હેતુ એ છે કે હવે સરકારી કામકાજમાં સત્તા, નિયંત્રણ અને અંતરના જૂના સંકેતોને દૂર કરવામાં આવે અને તેના સ્થાને સેવા, કર્તવ્ય અને જવાબદેહીના મૂલ્યોને કેન્દ્રસ્થાને લાવવામાં આવે. ટૂંકમાં, સરકારનો ધ્યેય વહીવટી તંત્રને વધુ લોકો-કેન્દ્રિત અને જવાબદાર બનાવવાનો છે.


આ પણ વાંચો: સિદ્ધારમૈયા રાજીનામું આપવા તૈયાર? કહ્યું- શિવકુમાર મારા ભાઈ જેવા, મોવડી મંડળ ઈચ્છે તો CM બનશે

'સેવા તીર્થ'ની મુખ્ય વિશેષતા

- નવું 'સેવા તીર્થ' કોમ્પ્લેક્સ વાયુ ભવન પાસેના એક્ઝિક્યુટિવ એન્ક્લેવ-1 વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.

- આ કોમ્પ્લેક્સમાં ત્રણ ભવ્ય બિલ્ડિંગનો સમાવેશ થાય છે.

- આ ત્રણમાંથી, 'સેવા તીર્થ-1' નામની પહેલી બિલ્ડિંગ દાયકાઓ પછી સાઉથ બ્લોકથી સ્થળાંતર કરીને પ્રધાનમંત્રી કાર્યાલય(PMO)નું નવું સરનામું બનશે.

- આ કોમ્પ્લેક્સની અન્ય બે બિલ્ડિંગ, 'સેવા તીર્થ-2' અને 'સેવા તીર્થ-3' પણ મહત્ત્વપૂર્ણ છે.

- સરકારના મોટા નિર્ણયો લેવાની જગ્યા, કેબિનેટ સચિવાલયની ઓફિસ 'સેવા તીર્થ-2'માં સ્થિત હશે. જ્યારે દેશની સુરક્ષા સંબંધિત અગત્યની બાબતો જોતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)ની ઓફિસ 'સેવા તીર્થ-3' માં હશે.

- હાલમાં શિફ્ટિંગનું કામ શરૂ થઈ ગયું છે. 14 ઑક્ટોબરના રોજ કેબિનેટ સચિવ ટી. વી. સોમનાથને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેના પ્રમુખો સાથેની એક મહત્ત્વપૂર્ણ બેઠક 'સેવા તીર્થ-2'માં યોજી હતી.

- આ નવું 'સેવા તીર્થ' કોમ્પ્લેક્સ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અને હાઇ-ટેક હોવાથી, સરકારી કામકાજમાં વધુ ઝડપ આવશે, પરિણામે ફાઇલોનો નિકાલ અને નિર્ણયો લેવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને 'લોકભવન' 2 - image

Tags :