Anmol Bishnoi Case : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આદેશ હેઠળ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ-303 લાગુ કરવામાં આવી છે. આ કલમ અંતર્ગત હવે આગામી એક વર્ષ સુધી દેશના કોઈપણ રાજ્યની પોલીસ અથવા તપાસ એજન્સી અનમોલ બિશ્નોઈની કસ્ટડી લઈ શકશે નહીં.
માત્ર તિહાડ જેલમાં પૂછપરછ
ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, જો કોઈપણ પોલીસ કે એજન્સીને અનમોલ બિશ્નોઈની પૂછપરછ કરવી હોય, તો તે માત્ર દિલ્હીની તિહાડ જેલમાં જઈને કરી શકશે. આ પગલું જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા પર અસર ન પડે તે સુનિશ્ચિત કરવા અને આરોપીને બહારના જોખમોથી બચાવવા માટે લેવાયું છે.
શું છે BNSSની કલમ-303?
BNSSની કલમ-303 હેઠળ ગૃહ મંત્રાલયને અધિકાર છે કે, મંત્રાલય કોઈપણ કેદીને વર્તમાન જેલમાંથી બહાર ન કાઢવાનો સીધો આદેશ આપી શકે. આ આદેશ અગાઉ અનમોલના મોટા ભાઈ અને ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ પર પણ લાગુ કરાયો હતો, જે હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.
આ પણ વાંચો : ચાંદીની કિંમત રૂ. 2 લાખને પાર, સોનું પણ ચમક્યું! જાણો લેટેસ્ટ રેટ
અનમોલ પરના સંગીન આરોપો
અનમોલ બિશ્નોઈ પર અનેક ગંભીર આરોપો છે. તે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા, NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગના ષડયંત્રમાં સામેલ હોવાનું મનાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે, તે 2022થી ફરાર હતો અને અમેરિકાથી જ બેસીને ભારતમાં પોતાના ગેંગનું સંચાલન કરતો હતો. અમેરિકાથી ડિપોર્ટ થયા બાદ NIAએ તેની ધરપકડ કરી હતી. NIA કોર્ટમાં સુનાવણી બાદ અનમોલ બિશ્નોઈને ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલી દેવાયો છે.
આ પણ જુઓ : VIDEO, મહારાષ્ટ્રમાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ


