બિહાર માટે નવી ડિમાન્ડ કે પછી NDAમાં મતભેદો દૂર કરવા પ્રયાસ?, PM મોદી અને નીતિશ કુમાર વચ્ચે મહત્ત્વની બેઠક
PM Modi Nitish Kumar Meeting: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની દિલ્હી મુલાકાત ચર્ચામાં છે. તેઓ રવિવારે પીએમ મોદીને મળવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત પહેલાં દિલ્હીમાં મુખ્યમંત્રી નીતિશની આ મુલાકાત ઘણા રાજકીય પંડિતોને વિશ્લેષણ કરવા માટે મજબૂર કરી રહી છે. બંને દિગ્ગજ નેતાઓ આ મુલાકાતને માત્ર ઔપચારિક મુલાકાત તરીકે દર્શાવી રહ્યા છે. પરંતુ રાજકીય પંડિતો કંઈક અલગ જ તારણ આપી રહ્યા છે.
બિહારના રાજકારણ અને આગામી વિધાનસભાની ચૂંટણી મુદ્દે ચર્ચાઓ થઈ હોવાની અટકળો ચાલી રહી છે. આ બેઠક દ્વારા NDAની આંતરિક રાજનીતિ, આંતરિક વિખવાદો, ચૂંટણીના સમીકરણો અને બિહારને લઈને કેન્દ્ર સરકારની રણનીતિને સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પીએમ મોદી સાથે મુલાકાત
નીતિશ કુમારની દિલ્હી મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્રીય બજેટમાં બિહારને મળેલી સોગાદો માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરવાનો છે. બજેટમાં બિહાર માટે મખાના ઉદ્યોગને પ્રોત્સાહન, કોસી કેનાલ પ્રોજેક્ટ અને અન્ય વિકાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે નીતિશ કુમાર ખૂબ જ ખુશ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન બિહારમાં આગામી ચૂંટણી, બેઠકની વહેંચણી અને ભાજપ અને જેડીયુ વચ્ચેના તાલમેલ પર પણ ચર્ચા થઈ શકે છે. આ બેઠકના કારણે નીતિશકુમારે 17મી ફેબ્રુઆરીના રોજની તેમની 'પ્રગતિ યાત્રા'નો કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ભાજપના દિગ્ગજ નેતા આર-પારના મૂડમાં, સમર્થકો સાથે અન્યાય થતાં પક્ષ પર ભડક્યાં
રાજકીય ફોકસ બિહાર તરફ કેમ વળ્યું?
આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ પક્ષની નજર હવે બિહાર પર છે. આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે, જ્યાં નીતિશ કુમાર ફરી એકવાર સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જોકે RJD નેતા તેજસ્વી યાદવ સત્તા વિરોધી લહેરનો લાભ લેવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે. પરંતુ ભાજપની રણનીતિ શું છે તેના પર સૌની નજર છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હીમાં સતત સફળતા બાદ ભાજપે બિહારમાં પણ મોટું લક્ષ્ય નક્કી કર્યું છે.